અત્યાર સુધી દેશના કરોડો લોકોને પીએમ આવાસ યોજનાનો લાભ મળ્યો છે. આ યોજનાથી લોકોનું પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. દેશના દરેક ખૂણે-ખૂણે લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. સુધીર કુમાર જૈન પણ આ યોજનાના લાભાર્થી છે કે જેઓ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના છે. સુધીરને હાલમાં જ આ યોજના અંતર્ગત પાક્કુ મકાન મળ્યું છે.
ઘરનું સપનું પૂર્ણ કરવા પર સુધીરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેઓએ પીએમ મોદીનો આભાર માન્યો છે. પરંતુ મજાની વાત એ છે કે આ પત્રના જવાબમાં પીએમ નરેન્દ્ર મોદીએ સુધીરને એક પત્ર મોકલ્યો છે.
શું લખ્યું હતું સુધીરે પોતાના પત્રમાં?
આ પત્રમાં પીએમનો આભાર માનતા સુધીરે લખ્યું હતું કે, પીએમ આવાસ યોજના આવાસ વિનાના ગરીબ પરિવારો માટે વરદાન છે. સુધીરે લખ્યું હતું કે, અત્યાર સુધી તે ભાડાના મકાનમાં રહેતો હતો અને તેણે 6થી 7 વાર ઘર બદલ્યું હતું. તેઓ સારી રીતે સમજે છે કે વારંવાર ઘર બદલવાની પીડા શું છે.
પીએમ મોદીએ પણ આપ્યો શાનદાર જવાબ
સુધીરના આ પત્રના જવાબમાં પીએમ મોદીએ પણ વળતો પત્ર મોકલ્યો હતો. આ પત્રમાં પીએમ મોદીએ સુધીરને પાક્કુ ઘર મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, પોતાની છત, પોતાનું ઘર મળવાની ખુશી અમૂલ્ય છે. તેઓએ લખ્યું હતું કે, 'ઘર એ માત્ર ઈંટ કે સિમેન્ટથી બનેલું માળખું નથી, પરંતુ તેની સાથે આપણી લાગણીઓ, આપણી આકાંક્ષાઓ જોડાયેલી છે. ઘરની બાઉન્ડ્રી વોલ આપણને માત્ર સુરક્ષા જ નથી આપતી, પરંતુ સારી આવતી કાલ માટે આપણામાં આત્મવિશ્વાસ પણ જગાવે છે.'
વડાપ્રધાને આગળ લખ્યું છે કે, 'પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા તમારું પોતાનું ઘરનું સપનું સાકાર થયું છે. આ ઉપલબ્ધિ બાદ તમને જે સંતોષ છે તે પત્રમાં તમારા શબ્દો દ્વારા સરળતાથી અનુભવાય છે. આ ઘર તમારા પરિવારના ગૌરવપૂર્ણ જીવન અને બંને બાળકોના સારા ભવિષ્ય માટે એક નવા પાયાની જેમ છે.'
સરકાર દરેક જરૂરિયાતમંદ પરિવારને ઘર આપવાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે
વડાપ્રધાન મોદીએ આ પત્રમાં એમ પણ કહ્યું છે કે, 'અત્યાર સુધીમાં કરોડો લાભાર્થીઓને પીએમ આવાસ યોજના હેઠળ પાક્કુ મકાન મળી ગયું છે. સરકાર દરેક જરૂરિયાતમંદ પરિવારને ઘર આપવાના લક્ષ્ય તરફ સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે. સરકાર જન કલ્યાણની વિવિધ યોજનાઓ દ્વારા દેશવાસીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંનિષ્ઠ પ્રયાસો કરી રહી છે.'
પીએમ નરેન્દ્ર મોદીએ આ પત્રમાં લખ્યું કે, 'તેમના જેવાં લાભાર્થીઓના જીવનની આ યાદગાર ક્ષણ તેમને રાષ્ટ્રની સેવામાં અથાક અને અવિરત કામ કરતા રહેવાની પ્રેરણા અને ઊર્જા આપે છે.'