અમદાવાદમાં ધૂળના રજકણોનું સામ્રાજ્ય આ વર્ષે ભયજનક પ્રમાણમાં વધ્યું છે. શહેરમાં વધતું જતું વાયુ પ્રદુષણ અસ્થમા, કેન્સર જેવી ગંભીર બીમારીઓને નોંતરી શકે છે. આ સમયે શહેરના રજકણોના PM 10 પોલ્યુશનના ગંભીર આંકડા સામે આવ્યા છે.
જયારે મુઘલ શાસક એકવારના પુત્ર જહાંગીરે ૧૬૧૭માં જયારે અમદાવાદ શહેરની મુલાકાત લીધી ત્યારે તેને આ શહેરમાં સતત ઉડતી ધૂળ પસંદ ન આવી અને તેને અમદાવાદને ગર્દાબાદ એટલે કે ધૂળિયું શહેર એવું નામ આપ્યું.
આ ઘટનાને ૫૦૦ વર્ષ વીતી ચુક્યા છે પણ અમદાવાદ આજે પણ ધૂળની ચપેટમાં આવેલું છે. AMCને આ વર્ષે ૩ ઓક્ટોબર સુધી શહેરમાંથી વધુ પડતી ધૂળ ઉડવાની કુલ ૮૮૫૨ ફરિયાદો નોંધાઈ છે.
કેમ અમદાવાદમાં ધૂળ બેસી જતી નથી?
આનું સૌથી મોટું કારણ છે કે શહેરમાં ઠેર ઠેર રસ્તાના ખોદકામનું અને સમારકામનું કામ ચાલે છે. આ ઉપરાંત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ પણ શહેરમાં ધૂળ ઉડવા માટે મોટા અંશે જવાબદાર છે.
AMCના એક અધિકારીના જણાવ્યા અનુસાર ખાનગી કંપનીઓના કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ્સ, બાંધકામના ભંગારનું ગમે ત્યાં ડમ્પિંગ કરી દેવું અને પવનની દિશા અને ગતિ અવરોધતી ઊંચી ઇમારતો વગેરે જેવા કારણો અમદાવાદના ધૂળના પ્રદુષણ માટે જવાબદાર છે.
અમદાવાદમાં ધૂળના પ્રદુષણની ફરિયાદોના આંકડા
૨૦૧૯માં ગત વર્ષ કરતા ફરિયાદોમાં ૨૭%નો ઉછાળો નોંધાયો હતો. ફક્ત સપ્ટેમ્બર મહિનામાં જ ધૂળના પ્રદુષણની આશરે ૧૪૦૦ ફરિયાદો નોંધાઈ હતી.
અમદાવાદનું ટોચના પ્રદુષિત શહેરોમાં ત્રીજું સ્થાન અત્યંત ચિંતાનો વિષય
Particulate Matter એટલે કે ૧૦ માઈક્રોમીટરથી નાના રજકણો, જેને PM 10 કહે છે, તેના પ્રદુષણમાં ૨૦૧૮માં દેશમાં અમદાવાદનો ત્રીજો ક્રમ રહ્યો હતો. PM 10 પ્રદુષણ મુખ્યત્વે ધૂળના રજકણોથી બને છે. અમદાવાદ શહેરની આગળ ફક્ત બે શહેરો, એક ઝારખંડનું ધનબાદ જે કોલસાની ખાણોને લીધે પ્રદુષણનો ભોગ બને છે અને બીજું દિલ્હીની નજીકનું શહેર ગાઝીયાબાદ આવે છે.
અમદાવાદમાં ૨૦૧૮માં PM 10ના પ્રદુષણનો આંકડો ૨૩૬ હતો. અહી ઉલ્લેખનીય છે કે National Ambient Quality Monitoring Programme દ્વારા આ આંકડાની લીમીટ ૬૦ની નક્કી કરવામાં આવી છે. આમ અમદાવાદમાં PM ૧૦ પ્રદુષણ તેની મર્યાદા કરતા આશરે 400% છે જે અત્યંત ભયજનક બાબત છે.
ધૂળના પ્રદુષણના મુખ્ય પરિબળો
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા મુજબ શહેરમાં ધૂળના પ્રદુષણ માટે પાવર પ્લાન્ટ્સ ૩૯%, સડકો પરની ધૂળ ૨૨% અને વાહનો ૧૬% જવાબદાર છે.
AMCના પગલા
ધૂળના પ્રદુષણણી વધતી જતી ફરિયાદોના ઉકેલ માટે AMCએ ૩૫ રોડ સ્વીપર્સ રાખ્યા છે અને નજીકના ભવિષ્યમાં ૧૫ રોડ સ્વીપર્સ ઉમેરીને કુલ ૫૦ રોડ સ્વીપર્સ શહેરમાં દોડતા રાખવાની યોજના બનાવી રહ્યું છે. AMCના એક અધિકારીના જણાવ્યા મુજબ રસ્તા પર કરેલા આડેધડ પાર્કિંગને કારણે રોડ સ્વીપર્સ છેક છેડા સુધી સફાઈ નથી કરી શકતા. તેના ઉકેલ માટે રોડ સ્વીપર્સને રાત્રે કામ પર લગાડવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર વોલ ટુ વોલ કાર્પેટીંગ કરવામાં આવે તે માટે કર્મચારીઓને સુચના પાઠવી છે.
AMCએ પશ્ચિમ શહેરના ત્રણ મુખ્ય રસ્તાઓ ઉપર ગ્રીન સ્ટ્રેચ કરવાનો ૨૦.૮૬ કરોડનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ ત્રણ મુખ્ય રસ્તાઓ આ મુજબ છે.
કેશવબાગ થી પકવાન ચાર રસ્તા
જજીસ બંગલો થી NFD સર્કલ
સંજીવની હોસ્પિટલ થી ગુરુદ્વારા ચાર રસ્તા
AMC અધિકારીઓ હાલના ૩૫ જેટલા રોડ સ્વીપર્સ વડે શહેરના કુલ ૧૨૫ કિમી લાંબા રસ્તાઓ ઉપર એક જ રાતમાં રોડ સ્વીપર્સ ફેરવી શકે તેવી યોજના બનાવી રહ્યા છે.
ચોમાસા પછી ધૂળના પ્રદુષણની ડ્રાઈવ શરુ થશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું છે કે ચોમાસાના કારણે રસ્તા ભીના છે અને ભીના રસ્તા ઉપરથી ધૂળ સાફ કરવી શક્ય નથી. આ ઋતુ પૂરી થશે અને રસ્તા સુકાઈ જશે પછી તરત આ ડ્રાઈવ શરુ કરવામાં આવશે.