લિકર કિંગ વિજય માલ્યાએ ફરી એક વાર કહ્યું કે તેઓ ભારતીય બેન્કોને લોનની મૂળ રકમ (મુદ્દલ) પરત કરવા માટે તૈયાર છે. ભારતને સોંપવા વિરુદ્ધ પોતાની અપીલ પર સુનાવણીના અંતિમ દિવસે માલ્યાએ કહ્યું કે સીબીઆઇ અને ઇડી તેની સાથે જે કરી રહ્યા છે તે અનુચિત છે.
ભારતને સોંપવાના આદેશ વિરુદ્ધ લંડન કોર્ટમાં અપીલ પર ત્રણ દિવસની ચર્ચાઓ પૂર્ણ થયા બાદ માલ્યાએ આ વાત કહી હતી. હાઇકોર્ટના જસ્ટિસ સ્ટીફન ઇરવીન અને જસ્ટીસ એલિઝાબેથ લેઇંગની બેચ હવે કોઇ પણ દિવસે ચુકાદો આપી શકે છે.
લંડન હાઇકોર્ટ બહાર મીડિયા સાથે વાત કરતાં માલ્યાએ કહ્યું કે ભારતીય બેન્કોને તેઓ હાથ જોડીને કહી રહ્યા છે કે તેઓ તેમનું બધું જ મૂળ દેવું (મુદ્દલ) ચૂકવવા તૈયાર છે. ભારતમાં સીબીઆઇ અને ઇડીએ એક જ રકમની વસૂલી માટે અલગ અલગ કેસ કર્યા છે. આ પ્રક્રિયામાં તેમની સાથે યોગ્ય વ્યવહાર થઇ રહ્યો નથી. છેલ્લા ચાર વર્ષથી તેમની સાથે સરકારી એજન્સીઓ અયોગ્ય વ્યવહાર કરી રહી છે. બંને એજન્સીઓએ માલ્યા પર બેન્કની લોનની છેતરપિંડી અને મની લોન્ડરિંગ કાયદા હેઠળ કેસ દાખલ કર્યા છે.
માલ્યાની હજારો કરોડ રૂપિયાની સંપત્તિને જપ્ત કરી લેવાઇ છે. માલ્યા પર ભારતીય બેન્કોનું રૂ.૯,૦૦૦ કરોડનું દેવું બાકી છે. આ રકમ ચૂકવવાથી બચવા માટે માલ્યા લંડનમાં રહે છે. જ્યારે ભારતીય એજન્સીઓ તેને ભારતમાં લાવીનેે કેસ ચલાવવા ઇચ્છે છે અને તેની પાસેથી આ રકમ વસૂલવા ઇચ્છે છે. માલ્યા વારંવાર કોઇને કોઇ બહાનું કરતો રહે છે.