ગાંધીનગરઃ રાજ્યમાં ઓછા વરસાદના કારણે રવિ પાકના વાવેતરમાં ધરખમ ઘટાડો થયો છે. ધાન્ય પાકો અને તેલિબિયા પાકોના વાવેતરમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. કુલ 34 લાખ હેક્ટર સામે 28.47 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે. આ વર્ષે 7.85 લાખ હેક્ટરમાં જ પિયત ઘઉંનું વાવેતર થયું છે જ્યારે ગયા વર્ષે 10 લાખ હેક્ટરમાં ઘઉનું વાવેતર થયું હતું.
બિનપિયત ઘઉંની વાત કરવામાં આવે તો બિનપિયત ઘઉનું વાવેતર માત્ર 21 હજાર હેક્ટરમાં જ થયું છે. ગયા વર્ષે બિનપિયત ઘઉનું 52 હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું. ગત વર્ષે 26 હજાર હેક્ટર સામે ચાલુ વર્ષે 36 હજાર હેક્ટરમાં જુવારનું વાવેતર થયુ છે.
તો મકાઈનું સરેરાશ એક લાખ હેક્ટર સામે 96 હજાર હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે. ગયા વર્ષના 11.89 લાખ હેક્ટરની સામે આ વર્ષ 9.47 લાખ હેક્ટરમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ગયા વર્ષની 2.95 લાખ હેક્ટરની સરખાણણીએ ચણાનું વાવેતર 1.74 લાખ હેક્ટરમાં થયું છે.
રાજ્યમાં કઠોળના પાકની વાવણીમાં પણ ઘટાડો નોંધાયો છે. 3.22 લાખ હેક્ટર વાવણી સામે 1.95 લાખ હેક્ટરમાં જ કઠોળની વાવણી થઈ છે. તેલીબિયાં પાકોમાં 2.24 લાખ હેક્ટર સામે 1.96 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે. શેરડીના અને તમાકુના વાવતેરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
તો ગરીબોની કસ્તુરી ડુંગળીનું પણ માત્ર 61 ટકા જ વાવેતર થયું છે. આ ઉપરાંત બટાકાનું 99 ટકા જ્યારે શાકભાજીનું 94 ટકા વાવેતર થયું છે. આમ સરવળે તમામ પાકોના વાવેતરમાં ભારે ઘટાડો નોંધાયો છે.