24 ઓગસ્ટ શનિવારના રોજ જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અનેક મંદિરોમાં ભક્તો દર્શનાર્થે જઈ રહ્યા છે. જો તમે અમદાવાદમાં હોવ અને દર્શન માટે જવું હોય તો તમે અમદાવાદના ભાડજમાં આવેલા હરે કૃષ્ણ મંદિર જઈ શકો છો. અહીં સ્વર્ણરથ અને 108 કળશ સાથે શ્રીકૃષ્ણના આ અવસરની ઉજવણી કરવામાં આવશે.
આ રીતે થશે અલંકાર
જન્માષ્ટમીના અવસરે મંદિરમાં શ્રીશ્રી રાધામાધવને સુગંધીદાર અને આનંદદાયક વસ્ત્રો પહેરાવાશે. સુંદર રેશમી વસ્ત્રમાંથી બનાવેલા પોષાક, કિંમતી અલંકારો અને સાથે રંગબેરંગી પુષ્પોની સજાવટ પણ મંદિરમાં કરવામાં આવશે. આ માટેની તમામ તૈયારીઓ 2 મહિના પહેલેથી કરવામાં આવી છે.
મંદિરમાં થશે આ કાર્યક્રમ
ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લેવાની આશા હોઈ વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તો માટે મંદિર આખો દિવસ ખૂલ્લું રહેશે. કૃષ્ણજન્મોત્સવ બાદ રાત્રે 1 વાગે મંદિરના દ્વાર બંધ કરવામાં આવશે. આખા દિવસ દરમિયાન જાણીતા ભજન ગાયકો દ્વારા સુંદર ભજન ગાવામાં આવશે. ભક્તો આ સંગીતનો લાભ લઈ શકશે. ભક્તો પણ ભગવાનને ઝૂલા ઝૂલાવવાનો લાભ લઈ શકશે. મંદિરમાં કૃષ્ણલીલાના કથકનૃત્યની પેશગી પણ થશે. સાથે જ રાતના 8-30થી ભજન સંગીતનું આયોજન થશે. જે રાતના 12 વાગ્યા સધી ચાલશે. મંદિરમાં શ્રીકૃષ્ણની વૃંદાવન લીલાઓ, લિટલ ક્રિષ્ણા નામનો એનિમેશન શો દેખાડાશે. શ્રીકૃષ્ણના દિવ્ય નામનું 10 લાખ વખત જાપ કરાશે.
મંદિરમાં મળશે આ વ્યવસ્થા
મંદિરમાં મોટાપાયે પાર્કિંગ, પ્રસાદ, દર્શન માટેી ખાસ લાઈન, બૂટ-ચંપલની વ્યવસ્થા, પ્રસાદ કાઉન્ટર્સ અને જનરલ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઘરડા લોકો માટે વ્હીલ ચેરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
મંદિરમાં હશે આ એક્ટીવીટી
મંદિરમાં બાળકો માટે પ્રશ્નોતરી સ્પર્ધા, ચિલ્ડ્રન ફન ઝોન છે જેમાં શ્રીકૃષ્ણ વાર્તા અને પ્રાઈઝ ગેમ્સનું આયોજન છે. ક્રિષ્ના થીમ એક્ઝીબિશનનું પણ આયોજન કરાયું છે. ભગવાન શ્રીકૃષ્ણ માટે હિંડોળા સેવાનું પણ આયોજન છે.