એક દિવસીય પિકનિક માટે વિચારી રહ્યો છો તો આ સીઝનમાં ગુજરાતમાં વિજયનગરમાં આવેલું પોલો ફોરેસ્ટ તમારા માટે બેસ્ટ પ્લેસ હોઈ શકે છે. તેને પોળોના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઐતિહાસિક સ્થળ હોવાના કારણે પોળોનું આ જંગલ 3-4 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
વરસાદની સીઝનમાં આ ફોરેસ્ટની મજા બમણી થઇ જાય છે. હરિયાળીની સાથે વોટરફોલની મજા અનેરું દ્રશ્ય સર્જે છે. નેચર પ્રેમીઓને માટે આ એક બેસ્ટ પ્લેસ ગણી શકાય છે. અહીં તમે જાણે પ્રકૃતિના ખોળામાં બેઠા હોવ તેવો અનુભવ કરી શકો છો.
અમદાવાદથી લગભગ 110 કિમીના અંતરે આવેલું આ સ્થળ કુદરતની સુંદરતા અને પ્રકૃતિના ખોળે પાંગર્યું છે. ઇડરથી માંડ 35 કિમીના અંતરે આવેલું છે. ઇડરથી જીપમાં આ સ્થળે જઈ શકાય છે. ભરઉનાળામાં પણ અહીંનું તાપમાન 35 સે. ઉપર જતું નથી. હા, જોકે અહીં કુદરતી હરિયાળી હોવાને કારણે ચોમાસામાં જવાની મજા કંઈક અલગ જ હોય છે. હાલમાં ઈડરમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે આ જગ્યા સૌંદર્યથી ભરપૂર છે.
પોલો ફોરેસ્ટનો ઇતિહાસ
અહીંના મંદિરો આશરે 15મી સદીમાં બનાવેલા હોય એવું માનવામાં આવે છે. પોલો એક વખતે રાજસ્થાનનો ગેટ વે હતો. શાશકો દ્વારા દુશ્મનો અને નાગરિકોથી છુપાઈને આ સ્થળ બનાવામાં આવ્યું હતું. પોલો શબ્દ પોળ પરથી આવેલો છે. જેનો, અર્થ મારવાડી ભાષા પ્રમાણે દ્વાર થાય છે.
પોલો ફોરેસ્ટ કેમ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે ?
અહીં ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવે છે. અહીં નાનું ઝરણું પણ છે. મોટાભાગે ચોમાસા સિવાયની ઋતુમાં તે સૂકું હોય છે. અહીં એક જૈન મંદિર, શિવ મંદિર અને એક કૂવો પણ છે. જૈન મંદિર અને શિવ મંદિર પર અદભુત કોતરણી કરવામાં આવેલી છે. હાલમાં આ સ્થળને ગુજરાતના સરંક્ષણ વિભાગ હેઠળ આવરી લેવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે આ સ્થળ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અહીં માત્ર પહાડી વિસ્તાર,મંદિર અને ઝરણું નથી. પણ હાર્ણવ નદી અને ડેમ પણ આવેલો છે. આ ડેમની ઊંચાઈ આશરે 40 થી 50 મીટર જેટલી છે.
કહેવામાં આવે છે કે શિયાળામાં ડેમ પર 35 જેટલી વિવિધતા ધરાવતા પક્ષીઓ જોવા મળે છે. જે પર્યટકો ને આકર્ષે છે. ડેમથી 5 કિમીના અંતરે પર્યટકો માટે ફોરેસ્ટ રેસ્ટ હાઉસની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. અહીં દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા પોળો ઉત્સવ યોજાય છે. જે અંતર્ગત ટ્રેકિંગ અને ફોટોગ્રાફી જેવા કાર્યક્રમો યોજાતા હોય છે. અહીં 450થી પણ વધારે ઔષધીય વનસ્પતિઓ આવેલી છે. 275 જેટલી પક્ષીઓની જાતો ઉપલબ્ધ છે. 30 જેટલા સસ્તન પ્રાણીઓ અને 32 સરીસૃપો આવેલા છે.
પોલો ફોરેસ્ટમાં જમવાની વ્યવસ્થા
સામાન્ય રીતે અહીં જમવાની વ્યવસ્થા જાતે કરવી પડતી હોય છે. જોકે આજુબાજુ આવેલા ઢાબામાં જમવાની મજા માણી શકાય છે. પરંતુ, જો તમે એક જ દિવસ માટે જઈ રહ્યા છો તો જમવાનું સાથે લઇ જવું યોગ્ય રહે છે.
કેવી રીતે જશો ?
અમદાવાદથી હિંમતનગર પ્રાંતીજ થઇને ઇડરથી વિજયનગર પોળો કેમ્પસાઇટ સુધી પહોંચી શકાય છે. અમદાવાદથી આ સ્થળ 110 કિમી અંતરે આવેલું છે, અમદાવાદથી અહીં આવતા 2થી અઢી કલાક જેટલો સમય થાય છે. અહી આપ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કેમ્પ સાઇટમાં રોકાઇ શકો છો પરંતુ તેના માટે સાબરકાંઠા વનવિભાગમાં અરજી કરવી પડે છે.
જો તમે વીકેન્ડ પ્લાન કરવા ઈચ્છો છો તો કુદરતના ખોળે રહેલું આ સ્થળ શ્રેષ્ઠ રહેશે.