રાષ્ટ્રીય સ્તરની રણનીતિ નક્કી કરવા માટે મમતા બેનરજીએ પ્રશાંત કિશોર સાથે ત્રણ કલાક બેઠક યોજી હતી.
મમતા બેનરજીની રાષ્ટ્રીય રાજકારણમાં એન્ટ્રીની તૈયારી
પ્રશાંત કિશોર સાથે કરી 3 કલાક બેઠક
PKએ મમતાની એન્ટ્રીની તૈયાર કરી બ્લૂપ્રિન્ટ
દિલ્હીના સિંહાસન પર છે મમતાની નજર?
મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે તેમના એક વખતના સલાહકાર પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને પણ ફળ્યા છે. મમતા બેનરજીને બંગાળમાં ભવ્ય જીત અપાવ્યા બાદ હવે પ્રશાંત કિશોર તેમને બંગાળ પૂરતાં સિમિત રાખવા નથી માંગતાં. તેઓ તેમને રાજ્યના રાજકારણમાંથી રાષ્ટ્રીય રાજકારણમાં લઈ જવા માંગે છે અને આ માટે જ કહેવાય છે કે પ્રશાંત કિશોર તેની સાથે સતત ચર્ચા વિમર્શ કરી રહ્યા છે. મમતા બેનરજી સાથે તેમણે ત્રણ કલાક બેઠક કરી અને ત્યારબાદ ગમે તે ઘડીએ મમતા રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશે તેવાં એંધાણ વર્તાય છે.
રાષ્ટ્રીય રાજકારણમાં એન્ટ્રી માટેની બ્લૂ પ્રિન્ટ તૈયાર?
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત મેળવ્યા બાદ હવે ટીએમસીના પ્રમુખ અને બંગાળના સીએમ મમતા બેનરજી રાષ્ટ્રીય સ્તરે એન્ટ્રી મારવાની તૈયારી કરી રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરની રણનીતિ નક્કી કરવા માટે મમતા બેનરજીએ પ્રશાંત કિશોર સાથે ત્રણ કલાક બેઠક યોજી હતી. આ બેઠકમાં ટીએમસીના સંગઠનમાં ફેરફારો કરવા અંગે ચર્ચા થઈ હતી.ખાસ કરીને એક વ્યક્તિ અને એક પદનો નિયમ પાર્ટીમાં લાગુ કરવામાં આવશે. સાથે સાથે એવું પણ કહેવાય છે કે બેઠકમાં રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી લડવા માટે પણ મમતા બેનરજીએ ઈચ્છા વ્યક્ત કરી છે.
PK બનાવી રહ્યા છે રણનીતિ
ટીએમસી દ્વારા પ્રશાંત કિશોર સાથે મળીને એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. જેને આ મહિને અથવા તો ઓગસ્ટ મહિનામાં જાહેર કરવામાં આવશે. સૂત્રોના કહેવા પ્રમાણે ટીએમસી પોતાના રાષ્ટ્રીય અભિયાનની શરુઆત ત્રિપુરાથી કરવા માંગે છે અથવા તો એવા રાજ્યોમાં પણ ચૂંટણી લડવા માંગે છે જ્યાં તેના આગળ વધવાની શક્યતા છે. આ રાજ્યોમાં ટીએમસીએ કયા પ્રકારની નીતિ અપનાવવી જોઈએ તેના પર પણ મમતા બેનરજી અને પ્રશાંત કિશોર વચ્ચે લાંબી વાતચીત થઈ હતી.
પવાર અને PK વચ્ચે પણ થઈ છે ચર્ચા
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ચૂંટણી જીતાડવા માટે પોતાની રણનીતિથી મહત્વનો ભાગ ભજવનાર પ્રશાંત કિશોરે હાલમાં મહારાષ્ટ્રમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજકીય મોરચે ગરમાવો આવ્યો હતો. શરદ પવાર અને પ્રશાંત કિશોર વચ્ચે થયેલી વાતચીતમાં પ્રશાંત કિશોરે ભાજપને રાષ્ટ્રિય સ્તરે કેવી રીતે હરાવી શકાય તે માટેનો પ્લાન તૈયાર કર્યો હોવાનુ પણ કહેવાઈ રહ્યુ છે.
મમતા બેનર્જીને રાષ્ટ્રીય ફલક પર લઈ જવાની ઝુંબેશમાં શરદ પવાર કેટલો સાથ આપે છે તે તો સમય કહેશે પરંતુ પ્રશાંત કિશોર એમ ઝુકે એવા નથી. એ મમતા બેનરજીને રાષ્ટ્રીય ફલક પર લઈ જવા માટે ચોક્કસ કંઈક નવાજૂની કરવાના મૂડમાં જરૂર છે.