કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર ચીનના આક્રમણ, કોરોના વાયરસ, બેરોજગારી સહિતના અન્ય મુદ્દાઓ માટે મોદી સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે.
રાહુલ ગાંધીએ શુક્રવારે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદીનો એક વીડિયો શેર કર્યો છે. રાહુલે PM મોદીની કંપનીના ટોચના અધિકારી સાથેની વાતચીતનો એક વીડિયો શેર કર્યો છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે રાહુલ ગાંધીના આ નિવેદનનો જવાબ આપ્યો છે.
રાહુલ ગાંધીએ શુક્રવારે પોતાના ટ્વિટમાં લખ્યું, "ભારત માટે અસલી ખતરો એ નથી કે આપણા વડાપ્રધાનમાં સમજણ નથી. વાસ્તવિકતા એ છે કે તેમની આસપાસના કોઈ પણ વ્યક્તિને તેમને આ કહેવાની હિંમત નથી."
The real danger to India isn’t that our PM doesn’t understand.
કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે રાહુલ ગાંધીની આ ટિપ્પણીનો જવાબ આપ્યો છે. ગોયલે કહ્યું કે, "રાહુલ ગાંધીની આસપાસના કોઈની પાસે એટલી હિંમત નથી કે તેમને કહી શકે કે રાહુલ ગાંધીને કશું જ સમજાતું નથી. જ્યારે વિશ્વની અગ્રણી કંપનીના CEOએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિચારને સમર્થન આપ્યું છે, ત્યારે તેઓ તેની મજાક ઉડાવી રહ્યા છે."
હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પવન ઉર્જાની ભાવિ સંભાવનાઓ અંગે એક કંપનીના CEO સાથે વાતચીત કરી હતી. આ વીડિયોમાં PM મોદીએ પૂછ્યું હતું કે જો તમારા ટર્બાઇન વધુ ભેજ હોય એવી હવામાંથી પાણી શોષી શકે છે અને શુધ્ધ પાણી ઉત્પન્ન કરી શકે તો ગામડાઓના પીવાના પાણીની સમસ્યાને હલ કરી શકાય. આ ઉપરાંત હવામાંથી સીધો ઓક્સિજન કાઢી શકાય તો ઓક્સિજનનું ઉત્પાદન કરી શકાય. અમે એવું સૂચન કરીએ છીએ કે આ મુદ્દે વૈજ્ઞાનિક ધોરણે રીસર્ચ કરવામાં આવે.