અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઈટની જગ્યા એકાદ-બે વર્ષમાં ખુલ્લી થઈ જાય તેવો દાવો કરાઈ રહ્યો છે. કોર્પોરેશનના દાવા મુજબ આ ડમ્પિંગ સાઈટના 85માથી 55 એકર જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે.
અમદાવાદની પીરાણા ડમ્પિંગ સાઈટ થશે ખુલ્લી
પીરાણા ડમ્પિંગ સાઈટને લઈ AMCની યોજના
ડમ્પિંગ સાઈટની 55 એકર જમીન ખુલ્લી કરાઈ
અમદાવાદીઓને પીરાણા કચરાના ડુંગરથી થતા પ્રદુષણથી મુક્તિ મળશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા આ કચરાને દૂર કરવાની કામગીરી એટલી ઝડપે કરાઈ રહી છે કે અત્યાર સુધી અડધો કચરાનો ડુંગર દૂર કરાઈ દેવાયો છે. આવનાર બે વર્ષમાં અહીં નાગરિકોને કચરાની જગ્યાએ ગાર્ડન જોવા મળશે.
બે વર્ષમાં તમામ જગ્યા ખુલ્લી કરાશે
નારોલથી વિશાલા સર્કલ તરફ જવું હોય તો સૌ કોઈ નાગરિકોએ કચરાની દુર્ગંધ અને પ્રદુષણથી પસાર થવું પડી રહ્યું છે. પરંતુ આગામી ટૂંક સમયમાં આ કચરાનો ડુંગર દૂર થઇ જશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા 85 એકર જમીન માંથી કચરો દૂર કરી 55 એકર જમીન ખુલ્લી કરી દેવામાં આવી છે અને આગામી બે વર્ષમાં અહીં કચરો જ જોવા નહીં મળે. દિવસ રાત બાયોમાઇનિંગ મશીન ચલાવી આ કચરાનો ડુંગર દૂર કરવામાં આવી રહ્યો છે.
55 એકર જમીન ખુલ્લી કરી દેવાઈ
કચરાનો ડુંગર વર્ષ 1980થી શરુ થયો. શહેરનો કચરો આ ડમ્પિંગ સાઈટ પર નાખવામાં આવતો હતો. સમય વીતતા આ કચરાનો ડુંગર 2020 સુધી મહાકાય થઇ શહેરમાં પ્રદુષણનું કારણ બની ગયો હતો. કચરાના ડુંગરને કારણે પ્રદુષણ વધતા તંત્ર દ્વારા બે વર્ષ પેહલા 1.25 કરોડ મેટ્રિક ટનમાં ફેલાયેલા આ કચરાના ડુંગરને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી અને હાલ 55 એકર જમીન ખુલ્લી કરી દેવાઈ છે.
"ખુલ્લી કરાયેલી જગ્યા પર બનશે ગાર્ડન"
આગામી બે વર્ષમાં આ કચરાના પ્રદુષણથી અમદાવાદના નાગરિકોને મુક્તિ મળશે. આ જમીન ખુલ્લી થતા તંત્ર અહીં ગાર્ડન સહીત અન્ય પ્લેટફોર્મ ઉભું કરવાનું આયોજન કરી રહ્યું છે.