અમદાવાદ સીટીને સ્વચ્છ રાખવા માટે કોર્પોરેશન કરોડો રૂપિયાના ખર્ચે મસમોટા તાયફા કરે છે. પરંતુ શહેરની મધ્યમાં આવેલ કચરાનો ઢગલો કોર્પોરેશનની પોલ ખોલે છે. પીરાણા ડમ્પિંગ સાઈટ પરનો કચરો એટલી હદે વધી રહ્યો છે કે જેથી સ્થાનિકોને આ વિસ્તાર આસપાસથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.
મેગાસિટી અમદાવાદ માટે પીરાણા ડંપસાઇટનો આશરે પપ મીટર ઊંચો ડુંગર કલંકરૂપ છે. આ કચરાના ડુંગરમાં અંદાજે ૮૦થી ૮પ લાખ મેટ્રિક ટન કચરો ઠલવાયેલો હોઈ તેમાંથી નીકળતા ઝેરી ગેસથી આસપાસના રહેવાસીઓ શ્વસનરોગ સંબંધિત ગંભીર બીમારીઓ ભોગ બન્યા છે. છેક વાસણા સુધી કચરાના ડુંગરની દુર્ગંધ પરેશાન કરે છે.
જોકે આ ડુંગરની બાયો માઇનિંગ પદ્ધતિથી દૂર કરવા માટેની દરખાસ્તને તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી. બાયોમાઇનિંગ માટે ૧૬ એજન્સીને કામ ફાળવીને પ્રત્યેક એજન્સીનાં ત્રણ ત્રણ મશીન કચરાનું પીરાણા ખાતે વર્ગીકરણ કરવાના હતા. પ્રતિ ટ્રોમેલ મશીનને એક મહિના માટે ભાડે લેવા માટે મ્યુનિ. સત્તાવાળાઓ જે તે એજન્સીને રૂ.૬.૪૦ લાખ ચૂકવવાના છે. દૈનિક ૧ર હજાર મેટ્રિક ટન કચરાનું વર્ગીકરણ કરવાનો તંત્રનો દાવો છે.
જોકે આજે દોઢ મહિના બાદ પણ પીરાણા ડંપસાઇટ ખાતે અગાઉની જેમ બે ટ્રોમેલ મશીન કાર્યરત છે. મ્યુનિ. સત્તાધીશો કોન્ટ્રાકટરો પાસેથી આયોજન મુજબ ટ્રોમેલ મશીનને કામે લગાડવાના મામલે નિષ્ફળ પુરવાર થયા હોઇ પીરાણાના કચરાના ડુંગરથી નાગરિકોને ક્યારે છુટકારો મળશે તે પ્રશ્ન મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઇ રહ્યો છે.