રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ મુકેશ અંબાણીના વેવાઈ અજય પીરામલની આગેવાની વાળઆ પીરામલ ગ્રુપને દેવામાં ડૂબેલી દિવાન હાઉસિંગ ફાઈનાન્સના અધિગ્રહણને લીલીઝંડી આપી દીધી છે.
ડીએચએફએલ પર હાલમાં રુ. 91 હજાર કરોડનું દેવું
પીરામલની બોલીને 94 ટકા વોટ મળ્યાં
ઓકટ્રી કેપિટલે ડીએચએફએલ માટે 38.40 હજાર કરોડની બોલી લગાવી હતી
પીરામલ ગ્રુપે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે અમને ડીએચએફએલને ખરીદવા માટે આરબીઆઈની મંજૂરી મળી ગઈ છે. આરબીઆઈની કમિટી ઓફ ક્રેડિટર્સની બેઠકમાં પીરામલ ગ્રુપની કંપની, પીરામલ કેપિટલ એન્ડ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે રજૂ કરેલા ઠરાવ પ્લાનને મંજૂરી આપી દેવાઈ છે.
ડીએચએફએલના અધિગ્રહણ માટે લાગેલી બોલી જીત્યાના એક મહિના બાદ આરબીઆઈએ પીરામલ ગ્રુપને આ કંપની હસ્તગત કરવાની મંજૂરી આપી છે.
15 જાન્યુઆરીએ પીરામલ ગ્રુપે દેવામાં ડૂબેલી ડીએચએફએલને ખરીદવા માટેની બોલી જીતી લીધી હતી.
ઓક્ટ્રી કેપિટલની ઓફર વધારે હતી, છતા મંજૂરી ન મળી
ઓકટ્રી કેપિટલે ડીએચએફએલ માટે 38.40 હજાર કરોડની બોલી લગાવી હતી જ્યારે પીરામલે 37.25 હજાર કરોડની બોલી લગાવી હતી. બેન્કોની સમિતિએ તેને ફક્ત 45 ટકા વોટ આપ્યાં. બોલી જીતવા માટે ઓછામાં ઓછા 66 ટકા વોટની જરુર હતી. પીરામલની બોલીને 94 ટકા વોટ મળ્યાં હતા.
ડીએચએફએલ પર લગભગ 91 હજાર કરોડનું દેવુ
ડીએચએફએલ પર હાલમાં રુ. 91 હજાર કરોડનું દેવું છે તેમાં બેન્ક, નેશનલ હાઉસિંગ બોર્ડ, મ્ચુચ્યુઅલ ફંડ્સ અને બોન્ડ હોલ્ડર્સના પૈસા સામેલ છે. ડીએચએફએલ પર સૌથી વધારે દેવુ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાનું છે. વાર્ષિક રિપોર્ટ અનુસાર માર્ચ 2020 સુધી ડીએચએફએલની પાસે રુ. 79,800 કરોડની સંપત્તિ હતી તેમાંથી 50,227 કરોડ રુપિયા એટલે કે કુલ પોર્ટફોલિયોના 63 ટકા હિસ્સાને એનપીએ જાહેર કરી દેવાયો હતો.