મોરબી શહેરની અત્યારે દેશ વિદેશમાં ભલે સીરામીક સીટી તરીકે ગણના થાય પણ એક સમયે મોરબીની નળીયા ઉધોગથી ઓળખ થતી. હાલ નળીયા ઉદ્યોગ ઓક્સિજન ઉપર છે. કારણે હરકોઈની ઇમારતના મકાનો બનાવવાની ઘેલછાને કારણે નળીયાની ડિમાન્ડ તળિયે પહોંચી ગઈ છે. આથી એક સમયે નળીયા ઉધોગના 285 જેટલા યુનિટો હતા. તેમાંથી હવે નળીયા ઉધોગના માત્ર 30 જ યુનિટો બચ્યા છે.
નળીયાવાળા મકાન બનાવવા જ કોઈ તૈયાર ન હોય નળીયાની ડિમાન્ડ તળિયે પહોંચી
મોરબીના નળીયા ઉધોગના 285 માંથી 30 જ યુનિટો બચ્યા
ઇમરાતના મકાનોનો ક્રેઝ, લાકડા મોંઘા અને મજૂરોની અછતથી નળીયા ઉધોગ ઓક્સિજન ઉપર
મોરબીમાં વર્ષ 1951માં નળીયા ઉધોગનો પાયો નંખાયો હતો. તે સમયે નળીયા ઉધોગના માત્ર બે યુનિટો શરૂ થયા હતા. ત્યારે ટેકનોલોજીના અને આધુનિક યંત્રો બહુ જ અલ્પ હોવાથી નળીયા ઉધોગને ટકાવી રાખવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. આમ છતાં નળીયાના ઉધોગકારોએ ખાસ્સી મહેનત કરી હતી. નળીયા ઉધોગ ન હતો તે પહેલાં મકાનોમાં દેશી નળીયાનો ઉપયોગ થતો અને આ દેશી નળીયા પ્રજાપતિ પરિવારો બનાવતા હતા. આથી આ કોઠાસૂઝના કામે લગાડીને પ્રજાપતિ પરિવારોએ નળીયા ઉધોગના યુનિટ સ્થાપ્યા હતા. જો કે નળીયા માટે વપરાતી લાલ માટી મોરબી આસપાસ પુષ્કળ પ્રમાણમાં મળતી હોવાથી નળીયા બનાવવાનું કામ સરળ બની જતું હતું.
વર્ષ 1991માં સીરામીકનો ઉદય થતા નળીયા ઉધોગની પડતી શરૂ થઈ
જેમ જેમ આધુનિક યંત્રો આવતા ગયા તેમ તેમ મોરબીમાં નળીયાના યુનિટો વધુ બનવા લાગ્યા હતા. 1970 પછીના ગાળામાં આ ઉધોગની સતત આગેકૂચ રહી હતી. 1979 પુર હોનરાત વખતે સરકારી સહાય મળતા નળીયા ઉધોગ ફરી બેઠો થયો હતો. મોરબીમાં તે સમયે મૅગલોરી અને વિલાયતી નલિયાનું ઉત્પાદન થતું જેની દેશમાં જ નહીં વિદેશમાં પણ ડિમાન્ડ રહેતી અને ઘરઆંગણે હજારો લોકોને રોજી મળતી હતી. વર્ષ 1990 સુધીમાં નળીયા ઉધોગનો સુવર્ણકાળ હતો અને તે સમયે નળીયા ઉધોગના 285 જેટલા એકમો હતા પણ વર્ષ 1991માં સીરામીકનો ઉદય થતા નળીયા ઉધોગની પડતી શરૂ થઈ હતી.
મોરબીમાં 300 ફેક્ટરી હતી હાલ 30 જ છે
મોરબીમાં 1965થી 1990 સુધી 245થી 300 નળિયાની ફેક્ટરી હતી હાલ 30 જેટલી જ છે. ધીમે ધીમે નળિયાનો ક્રેઝ ઓછો થતો ગયો છે, સિરામિકમાં બીજી ઘણીબધી પ્રોડક્ટ આવી ગઈ છે. 1985 બાદ મોરબીમાં ડેકોરેટિવ નળિયાનું ઉત્પાદન શરુ થયું હતું. જેનો નવાબંગ્લોઝમાં છત ઉપર અને વોલ પર ઉપયોગ થતો હતો. હાલ મોરબીમાં સીરામીક ઉદ્યોગ મોટાપ્રમાણમાં આવેલ હોવાથી મજૂરોમાં તકલીફ પડે છે મજૂરો ઓછા મળે છે. નળિયાની ફેકટરીમાં ઓછામાં ઓછા 100 મજુરની જરૂર પડે છે, પણ હાલ કોરોના ચાલી રહ્યો છે, જેને લઇ ઓછા મજૂરોથી કામ ચલાવવું પડે છે. બીજું નળીયા ઉદ્યોગમાં કેરોસીન અને લિગ્નાઇટની જરૂર પડે છે કેરોસીન મળતું નથી અને કોલસાની જરૂર છે તેના ભાવ પણ વધુ છે. હાલ નળિયાના ઉદ્યોગકારો પાણધ્રાના કોલસાની માંગ કરી રહ્યા છે.
હરકોઈને ઇમરાતવાળા જ મકાનો બમધવાની ઘેલછા
વર્ષ 2000 પછી નળીયાની ડિમાન્ડ સાવ ઘટી જ ગઈ છે. લોકો નળીયાવાળાને બદલે ઇમરાતવાળા જ મકાનો બનાવવા લાગ્યા છે. જેને લઇને નળીયાની માંગ હવે સાવ નહિવત છે. કારણ કે હરકોઈને ઇમરાતવાળા જ મકાનો બમધવાની ઘેલછા છે. જેને લઇને કોઈ નળીયાવાળા મકાનો બનાવતા જ નથી. તે ઉપરાંત મકાનોમાં નળીયા રાખવા માટે વપરાતા લાકડાઓ પણ મોંઘા થયા અને મજૂરોની પણ મોટી અછત છે. આથી નળીયા ઉધોગના 285 જેટલા એકમોમાંથી 30 જ એકમો બચ્યા છે. જો સરકાર તરફથી આ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવામાં આવે તો મોરબીનો નળિયા ઉદ્યોગ મૃતપ્રાય થતા બચી શકે તેમ છે.