રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રસેને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. ત્યારે હજુ પણ કોંગ્રેસમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને સચીન પાયલટ વચ્ચેનો વિવાદ શાંત થતો જોવા મળતો નથી. અશોક ગેહલોતે પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અને સરકારમાં ઉપમુખ્યમંત્રી સચિન પાયલટ પર દીકરા વૈભવ ગેહલોતની હારનો આરોપ લગાવ્યો છે.
અશોક ગેહલોતે કહયું કે, સચીન પાયલટે મારા દીકારા વૈભવની જોધપુર બેઠક પર થયેલી હારની જવાબદારી લેવી જોઈએ. અમે જોધપુરથી જીતી રહ્યા હતા એટલે તેઓએ જોધપુરથી ટિકિટ લીધી. જો કે અમે તમામ 25 બેઠક પર હારી ગયા. જેને લઇને બધા કહી રહ્યાં છે કે મુખ્યપ્રધાન કે પ્રદેશ અધ્યક્ષે આ હારની જવાબદારી લેવી જોઈએ.
જ્યારે હું માનું છું કે આ એક સામૂહિક જવાબદારી છે. પાયલટે કહ્યું હતુ કે વૈભવ મોટા અંતરથી જીત મેળવશે, કારણકે અમારી પાર્ટીના ત્યાં 6 ધારાસભ્યો છે. અમારૂ ચૂંટણી અભિયાન પણ સારુ રહ્યું છે. તો મને લાગે છે કે મારા દીકારાની હારની જવાબદારી પણ સચીન પાયલટે લેવી જોઈએ.
જોધપુરમાં થયેલી પાર્ટીની હારનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ બેઠક હારવા પાછળના પરિબળોની સમીક્ષા પણ કરાશે. ઉલ્લેખનીય છે કે લોકસભા 2019ની ચૂંટણીમાં કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડયો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ અંગેની જવાબદારી સ્વીકારી રાજીનામા અંગનો પ્રસ્તાવ પણ રાખ્યો હતો. જે નામંજૂરી કર્યા બાદ રાહુલ ગાંધી શરતો આધીન અધ્યક્ષપદ સંભાળવા તૈયાર થયા.