કોરોના વાયરસને રોકવા માટે કેન્દ્ર સરકારે 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 24 માર્ચથી 21 દિવસ માટે દેશભરમાં લોકડાઉનનું એલાન કર્યુ છે. પરંતુ આ લોકડાઉનના કારણે તમામ કામધંધા બંધ છે. લોકોની સામે નાણાકીય સંકટ છે.
લોનના હપ્તાની ચૂકવણીમાં વ્યાજની છૂટ આપવાની માંગ
લોકોની સામે નાણાકીય સંકટ
EMI પર ત્રણ મહિના સુધીની રાહત આપી હતી
લોકડાઉનની સ્થિતિને જોતા ભારતીય રિઝર્વ બેંકે ગત મહિને તમામ પ્રકારની EMI પર ત્રણ મહિના સુધી રાહત આપવાની જાહેરાત કરી હતી, જેથી લોકોને સમસ્યા ન થાય. પરંતુ નિયમ અનુસાર મોરેટોરિયમ સુવિધાનો લાભ લેવા પર ગ્રાહકોને લોન પર વધુ વ્યાજ ચુકવવું પડશે.
હવે વ્યાજનો આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. સામાજિક કાર્યકર્તા અમિત રાહનીએ આ મામલાને લઇને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે અને EMI પર વધુ વ્યાજ ન વસૂલવાની માંગ કરવામાં આવી છે. જો સુપ્રીમ કોર્ટ અરજીકર્તાના પક્ષમાં કોઈ નિર્ણય લે છે તો પછી લોનના ગ્રાહકો માટે મોટી રાહત હશે.
જોકે કોરોનાને લઇને મોરેટોરિયમ મર્યાદા દરમિયાન લોનના હપ્તાની ચૂકવણીમાં વ્યાજની છૂટ આપવાની માંગ વાળી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બેન્ક અને નાણાકીય સંસ્થાનોને આદેશ આપવામાં આવે જેથી દેવામાં ગ્રાહકો પાસેથી મોરેટિરયમ મર્યાદા દરમિયાન વ્યાજ ન લે.
અરજી અનુસાર જ્યારે લોકોની નોકરીઓ પર સંકટ હોય અને તેની પાસેથી આવકનું સાધન છીનવી લેવાયું હોય તો સરકાર અને બેંકોને માણસાઇ દાખવવી જોઇએ. અરજીકર્તાએ તર્ક આપ્યો છે કે નિયમિત ઈએમઆઈની સાથે વધુ વ્યાજની ચૂકવણી કરવાનો કોઈ અર્થ નથી, એટલા માટે રાજ્યનું કર્તવ્ય છે કે સંકટના આ સમયમાં લોન લેનારાઓને છૂટ આપવામાં આવે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉનને લઇને લોકો ખુબ જ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે. જ્યારે સમગ્ર દેશ સ્વાસ્થ્ય ઇમરજન્સીથી અસરગ્રસ્ત છે, નાણાકીય સંસ્થાનોને લાભ કમાવવાની મંજૂરી ન આપી શકાય. એટલા માટે કોર્ટ યોગ્ય આદેશ આપે કે જાહેરહિતમાં બેન્ક અને નાણાકીય સંસ્થાન ઓછામાં ઓછા મોરેટોરિયમ પીરિયડ માટે પોતાના ગ્રાહકો પાસેથી વધુ વ્યાજ ન લે.
ઉલ્લેખનીય છે કે, આરબીઆઈએ તમામ બેન્કો અને નાણાકીય સંસ્થાનોને દરેક પ્રકારની ટર્મલોનની ઈએમઆઈ અને ચૂકવણીને ત્રણ મહિના સુધી ટાળવાનો આદેશ આપ્યો છે. એટલે ગ્રાહકોને માર્ચ, એપ્રિલ અને મેની ઈએમઆઈ પેમેન્ટ ન કરવાની રાહત મળી છે. આરબીઆઈના આદેશ બાદ બેંકોએ ઈએમઆઇ ન વસૂલવાનો નિર્ણય કર્યો. પરંતુ બેંકોએ સાથે કહ્યું કે, આ મહિનાઓની ઈએમઆઈ પર ગ્રાહકો પાસેથી વધુ વ્યાજ વસૂલવામાં આવશે.