આજે રાજ્યભરના અનેક વિસ્તારમાં વરસાદે એન્ટ્રી કરી છે. જેમાં અનેક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા અનેક સ્થળે ભારે તારાજી પણ સર્જાઈ છે. એવામાં સુરતના ઉમરપાડામાં આવેલા ગોંદલીયા તથા ઝરપણ ગામે વાવાઝોડા સાથેના વરસાદને કારણે તારાજી સર્જાઈ હતી. જેમાં અનેક મકાનોના છાપરા ઉડી ગયા હતા. છાપરા ઉડી જતાં વરસાદી પાણી મકાનમાં ભરાઈ જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયા હતા. ઝરપણ ગામે ચાલુ વરસાદે વીજપોલ એક પતરાવાળા મકાન પર પડતા મકાનને નુકશાન પહોંચ્યુ હતુ. તો બીજી તરફ મહિસાગરમાં એક બાળકી વીજ પોલને અડી જતાં બાળકી વીજળીના થાંભલે ચોટી ગઈ હતી. એવામાં આસપાસના લોકોએ તુરંત આવી બાળકીનો બચાવ કર્યો હતો. વીજપોલમાં કરંટ ઉતરતા સ્થાનિકોનો MGVCL સામે રોષ જોવા મળ્યો હતો. વીજપોલે ચોટી જવાની ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે.
સુરેન્દ્રનગર: પાટડી અને ગોરીયાવટ વચ્ચે ચક્રવાત, અનેક વૃક્ષો, વીજપોલ અને મકાનના પતરાઓને નુકશાન
અરવલ્લી: પિસાલ અને ઇપલોડા ગામે વાવાઝોડા સાથે વરસાદ, 10 જેટલા મકાનોની છતો ઉડી
રાજકોટ: હનુમાન મઢી ચોક નજીક બિલ્ડીંગ પર પડી આકાશી વીજળી
ડાકોર-કપડવંજ હાઈવે પર વાહનવ્યવહારને અસર, વરસાદ અને ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી
ગોધરા:દરૂણીયા ગામે તાડના વૃક્ષ પર વીજળી ત્રાટકી, વૃક્ષમાંથી સળગતા તણખા નીચે પડતા ખેતરની વાડ પણ સળગી
બોટાદના બરવાળા પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ થતાં વીજળી ગુલ
અરવલ્લી: રીંછવાડમાં ભારે પવનના વંટોળમાં છત ઉડી, તબેલામાં એક પશુનું મૃત્યુ, અન્ય કાચા મકાનોને પણ નુકશાન
માલપુરના અણીયોર પાસે ઝાડ પડતા યુવકનું મૃત્યુ
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અરવલ્લી જિલ્લામાં એકાએક બદલાયેલા વાતાવરણ વચ્ચે ઉભરી આવેલા કાળા ડીબાંગ વાદળો વરસ્યા હતા.. અરવલ્લીના માલપુરના અણીયોર પાસે વૃક્ષ પડવાની ઘટના ઘટી. આ દુર્ઘટનામાં બાઇક ચાલકનું મૃત્યું થયું.. બાઇક ચાલક મોડાસાથી અણીયોર આવતો હતો તે સમયે આ ઘટના ઘટી.. ભારે પવન સાથે વરસાદને કારણે વૃક્ષ ધરાશાયી થયુ..
ચાલુ વરસાદે 2 બાઈક અને ટેમ્પો અથડાતા અકસ્માત
સુરતના મહુવા-બારડોલી રોડ પર આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. બે બાઈક અને એક ટેમ્પો સહિત ત્રણ વાહન વચ્ચે ધડકાભેર અકસ્માત સર્જાયો હતો. ચાલુ વરસાદને લઈને ટેમ્પો ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા બે બાઇક સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઉપરાંત વલસાડ જિલ્લાના કપરાડા નજીક બે ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 ના મોત નિપજ્યાં હતા.
વૃક્ષ પડતા ઓટો રીક્ષા અને બાઈક ચાલક દબાયા, આબાદ બચાવ
રાજકોટમાં છેલ્લા બે દિવસથી અસહ્ય બફારાને કારણે અને વધતા જતા તાપમાનમાં લોકો અકળાયા હતા. જોકે આજે બપોરે વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. રાજકોટમાં ભારે પવન સાથે વરસાદના કારણે શહેરનાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા... રાજકોટ સંત કબીર રોડ પર વૃક્ષ પડતા ઓટો રીક્ષા અને બાઈક ચાલક દબાયા જેમાં ત્રણ લોકોનો આબાદ બચાવ કરાયો.. ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા. ફાયર ફાઈટર ઘટનાસ્થળે. રાજકોટના દૂધસાગર રોડ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે ભારે પવનના કારણે પાર્ક કરાયેલી કાર પર વિજપોલ ધરાશાયી થતા કારને નુકસાન થયું..
હવામાન વિભાગની શું છે આગાહી?
હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ અને ડાંગ, નવસારી અને તાપીમાં વરસાદની આગાહી કરી છે. સાથે દાદરા નગર હવેલીમાં પણ સાર એવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.બીજી બાજુ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ સારા વરસાદની આગાહી કરાઇ છે. આથી ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવા અંગેની સૂચના અપાઇ છે. જો કે, બીજી બાજુ અમદાવાદ, ગાંધીનગર અને વડોદરાવાસીઓએ હજુ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.