વંદે ભારત ટ્રેનની અંદરની કેટલીક ગંદકી વાળી તસવીરો સોશિયલ મીડિયા પર ટ્વીટ કરવામાં આવી હતી. આ તસવીરમાં આપવામાં આવેલા ફૂડ પેકેટ તેમજ અન્ય કચરો જોવા મળ્યો હતો. આ વાયરલ થયેલો ફોટો જોઈ રેલ્વે મંત્રી એક્શન મોડમાં આવી ગયા છે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પેસેન્જર દ્વારા કચરો નાખવા મુદ્દો
વંદે ભારત એક્સપ્રેસમાં ગંદકી જોઈ રેલ્વે મંત્રી એક્શનમાં
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પેસેન્જર દ્વારા કચરો નાખવાના મુદ્દાને ધ્યાનમાં લઈ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ એક્શન મોડમાં આવી ગયા હતા અને સંબંધિત અધિકારીઓને ફ્લાઈટ જેવી સફાઈ હાથ ધરવા આદેશ પણ આપી દિધો હતો. તેમણે આદેશ આપતા જણાવ્યું હતુ કે જે પ્રકારે ફ્લાઈટમાં ક્લિનનેસ એટલે કે ચોખ્ખાઈ જોવા મળે છે તે જ પ્રકારની સફાઈ વંદે ભારત એક્સપ્રેસમાં કરવામાં આવવી જોઈએ.ફ્લાઈટમાં ઠીક તેવી જ રીતે એક વ્યક્તિ કોચમાં બેઠેલા લોકોની સીટ પાસે કચરો એકત્ર કરવાની બેગ લઈને જશે અને મુસાફરોને કચરો કચરાની બેગમાં નાખવાનું જણાવશે.
શુ કહ્યુ રેલ્વે મંત્રીએ ?
સોશિયલ મીડિયમાં વાયરલ થયેલી તસવીરને લઈને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને કહ્યું કે વંદે ભારત ટ્રેનમાં સફાઈમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને વંદે ભારત ટ્રેનોમાં સફાઈ વ્યવસ્થાને જાળવવા માટે લોકોનો સહયોગ માંગવામાં આવ્યો છે.
શુ હતો મામલો?
મહત્વનું છે કે વંદે ભારત ટ્રેનની તસવીરો ટ્વીટ કરવામાં આવી હતી, જેમાં ટ્રેન તેના સ્ટેશન પર પહોચ્યા પછી વપરાયેલ ફૂડ પેકેટ અને અન્ય કચરો ફેલાતો જોવા મળ્યો હતો. ત્યારે કેટલાક ઈન્ટરનેટ યુઝર્સે રેલવે મંત્રીને આ મામલે તાત્કાલિક પગલાં લેવા વિનંતી પણ કરી હતી.
કચરાપેટીનો ઉપયોગ કરવા અપીલ કરાઈ
અગાઉ પણ હમણા જ શરૂ થયેલી સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસમાં પ્લેટો, કપ અને અન્ય કચરો ફેલાયેલા હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ત્યારે રેલવેના અધિકારીઓના કહેવા પ્રમાણે હાઉસકિંપીંગ સ્ટાફ દ્વારા નિયમિત અંતરે સફાઈ કરવામાં આવી હતી. પરંતુ ટ્રેન વિશાખાપટ્ટનમ પહોંચતા જ ગંદકી જોવા મળી હતી. ત્યારે રેલવે તંત્રએ પેસેન્જરને અપીલ કરતા કરી હતી કે, આ પ્રતિષ્ઠિત ટ્રેનને સ્વચ્છ રાખે અને કચરો ફેકવામાં કચરાપેટીનો ઉપયોગ કરે.