ગુજરાતમાં ચકચારી સ્વિટી પટેલ હત્યા કેસમાં પોલીસ વિભાગે PI અજય દેસાઈને સસ્પેન્ડ કરી દીધા છે, કરજણ કોર્ટે બંને આરોપીના 10 દિવસના રિમાન્ડ પણ કર્યા મંજૂર
અજયદેસાઈના પત્ની સ્વિટિ પટેલની હત્યાનો મામલો
આરોપી અજય દેસાઈના રિમાન્ડ મંજૂર
અન્ય આરોપી કિરીટસિંહ જાડેજાના રિમાન્ડ પણ મંજૂર
સ્વીટી પટેલની હત્યાનો મામલે આરોપી PI અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આજે કરજણ કોર્ટમાં પણ રજૂ કરાયા હતા. જ્યાં આરોપી અજય દેસાઈ અને કિરીટસિંહ જાડેજાના 10 દિવસ માટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ સાથે પોલીસ વિભાગ દ્વારા બીજી મોટી કાર્યવાહી પણ કરવામાં આવી છે. જેમાં હત્યાના આરોપી PI અજય દેસાઈને સસ્પેન્ડ કરી દેવાયા છે.
અજય દેસાઈની બે પત્ની વિશે કર્યો ખુલાસો
આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જાણાવ્યું છે કે, PIની બંને પત્ની એક જ સમયે વડોદરામાં હતી. જેને પગલે અજય દેસાઈ બંનેને સમય આપી શકતો ન હોવાથી તેણી સ્વીટીની કાયમ માટે ચૂપ કરી દીધી હતી. PI દેસાઈએ સ્વીટી પટેલની હત્યા અગાઉ તેના મિત્ર અને કોંગ્રેસ નેતા કિરીટસિંહ જાડેજાને કહ્યું હતું કે, મારી બેન લગ્ન કર્યા વિના જ ગર્ભવતી થઈ ગઈ હોવાથી તેની હત્યા કરવી પડશે. આ વાતથી કિરીટસિંહ પહેલા ચોંકી ગયા હતા, ત્યારબાદમાં મિત્ર અજયને મદદ કરવાની કિરીટસિંહે તૈયારી બતાવી હતી. આરોપી ખુદ SOG PI હોવાથી મર્ડરનો પર્ફેક્ટ પ્લાન ઘડ્યો હતો. 49 દિવસ સુધી આ કેસમાં પોલીસને તેણે ગોળ ગોળ ફેરવી હતી.
રાજ્યના DGPએ પોતાની ટીમના કર્યા વખાણ
વડોદરાની સ્વિટી પટેલની હત્યા કેસ મામલે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું હતું. વડોદરા ખાતે DGP આશિષ ભાટિયાએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSની ઉમદા કામગીરીને બિરદાવી હતી. PI અજય દેસાઈને લઈ નિવેદન આપતા જણાવ્યું હતું કે અજય દેસાઈએ રક્ષણ થઈને ભક્ષકનું કામ કર્યું છે. આરોપી અજય દેસાઈને દાખલો બેસે તેવી કડક સજા કરાશે. તેમણે વધુમાં કહ્યું કે PI અજય દેસાઈના DNA ટેસ્ટ સહિતની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂરી તમામ પુરાવાઓ એકત્રિત કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
કેવી રીતે કરી હત્યા અને શું હતું કારણ
સ્વિટી પટેલ હત્યા મામલે પોલીસ દ્વારા સમગ્ર ક્રાઈમનો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે જણાવ્યું કે, 5 જૂન 2021ના દિવસે સ્વિટી પટેલ ગુમ થયા હોવાની જાણ થઈ હતી. જે બાદ પોલીસે ટેક્નિકલ તપાસના આધારે જાણ્યું કે, PI અજય દેસાઈ અને સ્વિટી પટેલ વચ્ચે ગુમ થવાના એક દિવસ અગાઉ 4 જૂને લગ્ન સંબંધિત ઝઘડો થયો હતો. ઉગ્ર ઝઘડામાં PI અજય દેસાઈએ આવેશમાં આવી સ્વિટી પટેલનું ગળું દબાવી હત્યા કરી હતી. અને સ્વિટી પટેલના મૃતદેહને બાથરૂમમાં છૂપાવી દીધો હતો.
સ્વિટી પટેલના મૃતદેહને કર્યો ઠેકાણે
એક રાત્રી મૃતદેહને પોતાના ઘરના બાથરૂમમાં છૂપાવી રાખ્યા બાદ બીજા દિવસની સવારે 11 કલાકે PI અજય દેસાઈએ પોતાની બ્લેક જીપનો ઉપયોગ કર્યો હતો. જીપને ઘરના ગેટ સુધી રિવર્સ લઈ મૃતદેહને બ્લેન્કેટમાં કવર કર્યા બાદ જીપની ડેકીમાં મૂકી દીધી હતી. આ બાદ ગાડીને બાજુના મકાનના કમ્પાઉન્ડમાં રાખી પોતાના સાળા જયદીપને કહ્યું કે, તેમના બહેન સ્વિટી પટેલ ગુમ થઈ ગયા છે.
અટાલીની એક બંધ હોટલ પાછળ મૃતદેહને સળગાવાયો
સ્વિટી પટેલના ભાઈને જાણ કર્યા બાદ અજય દેસાઈએ મૃતદેહને ઠેકાણે લગાવવાની તજવીજ હાથ ધરી હતી. આ માટે PI અજય દેસાઈએ પોતાના મિત્ર કિરીટસિંહ જાડેજા કરજણવાળાની મદદ લીધી હતી. અને 5 જૂનની સાંજે 4 વાગ્યે કરજણ-આમોદ-વાગરાથી દહેજ હાઈ-વે પર અટાલી ગામના પાટી પાસે કિરીટસિંહ જાડેજાની બંધ હોટલ પર પહોંચ્યા હતા. આ હોટલ લાંબા સમયથી બંધ હતી. અને હોટલના પાછળના ભાગે આવેલા ખુણામાં ગાડીને લઈ મૃતદેહને સળગાવી દેવાયો હતો. આ કેસમાં PI અજય દેસાઈની સાથે કિરીટસિંહ જાડેજાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.
શા માટે કોંગ્રેસ નેતાની પોલીસે કરી હતી પૂછપરછ
કરજણના રાજકીય નેતા કિરીટસિંહ જાડેજા અને સ્વિટી પટેલના પતિ PI દેસાઈ વચ્ચે સારી મિત્રતા હોવાની સૂત્રોકીય માહિતી હતી. અને થોડા દિવસ પહેલા પોલીસને અટાલી નજીક જે ઈમારત પાછળ બળેલા હાડકા મળ્યા હતા. તે જમીનના દસ્તાવેજની પણ પોલીસે તપાસ હાથ ધરી હતી. આ મામલે સૂત્રોએ માહિતી જણાવી કે, તેમાં 15 જેટલા ભાગીદારો છે. અને કિરીટસિંહ પણ એક ભાગીદાર છે. 10 વર્ષ અગાઉ આ જમીન પર હોટલનું બાંધકામ શરૂ કરાયું હતું. જે પૂરું થઈ શક્યું નહોતું.