ફોટો એડિટિંગના અલગ અલગ સોફ્ટવેર હવે સોશિયલ મીડિયામાં ઘાતક નિવડી રહ્યાં છે. કોઈ તસવીર કે વીડિયોમાં વાત કાંઈક અલગ હોય છે જ્યારે તેને સોશિયલ મીડિયાના માધ્યમથી શેઅર કરવામાં આવે છે ત્યારે અર્થનો અનર્થ થઈ જાય છે. આવી જ એક તસવીર પ્રધાનમંત્રી મોદી અને તેમના માતાની છે.
પ્રધાનમંત્રી મોદી 23મી તારીખે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અમદાવાદ આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદી અમદાવાદના રાણીપ વિસ્તારના મતદાતા છે. રાણીપ જતા પહેલા મોદી તેમના માતાને મળવા ગાંધીનગર પહોંચ્યા હતા, જેની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. તસવીર જોઈને તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે ભેજાબાજો ફોટો એડિટિંગ સોફ્ટવેરનો ઉપગોગ કરીને જુઠ્ઠાણા ફેલાવે છે.
વાસ્તવમાં ડાબી બાજુએ દેખાઈ રહેલો ફોટો એડિટિંગનું વરવું સ્વરૂપ છે, જેમાં દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂની તસવીરને એડિટિંગ કરીને ચીપકાવવામાં આવ્યા છે. જ્યારે સાચી તસવીર જે તમને જમણીબાજુ દેખાઈ રહી છે.
તેમાં દિવાલ પર ટાંગવામાં આવેલા ફોટોમાં રાધાકૃષ્ણની તસવીર છે. રાધાકૃષ્ણની જગ્યાએ નહેરૂના ફોટોને એડિટ કરવામાં આવ્યો છે. આ તસવીર સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થઈ રહી છે, અને મોદીના ભાઈના ઘરમાં નહેરૂની તસવીર લગાવેલી છે એવા મેસેજ સાથે લોકો શેઅર કરી રહ્યાં છે.
વીટીવી લોકોને અપીલ કરે છે કે આવા જુઠ્ઠાણાઓ પર વિશ્વાસ ન કરશો. અને ખોટો સંદેશ ફેલાવતી તસવીરો અને સંદેશાઓને પણ શેઅર ન કરશો. સોશિયલ મીડિયામાં જુઠ્ઠી તસવીરો કે સંદેશ અને વીડિયો ફેલાવવા એ પણ ગુનો છે.