દિલ્હી: રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં રાજ્ય સરકારે વેટ નહી ઘટાડતા પેટ્રોલ પંપ એસોસિએશને બંધનું એલાન જાહેર કર્યું છે. બંધનું એલાન જાહેર કરતા જ દિલ્હીમાં આજે 400 જેટલા પેટ્રોલપંપ બંધ રહેશે.
આ સાથે જ દિલ્હીના ઓટો-રીક્ષા અને ટેક્સી યુનિયને પણ ખોટા પરિવહન નિયમોના વિરોધમાં આજે હડતાલનું આયોજન કરેલ છે. હડતાલમાં દિલ્હી બહારથી પણ પણ કેટલાક યુનિયનો જોડાવાના છે. આ સાથે ઓટો અને ટેક્સી ચાલકોએ રસ્તા પર ચક્કાજામ અને જેલ ભરો આંદોલનની ઘોષણા કરી છે.
જો કે દિલ્હીની પ્રજાની તકલીફો હજી પણ ઓછી થવાની નથી. રાજધાનીમાં ડીટીસી કર્મચારીઓ ધરણાં-પ્રદર્શન કરવાના છે. આ પ્રદર્શનમાં ડીટીસીના મોટા ભાગના કર્મીઓ જોડાવાની સંભાવના રહેલી છે. આ ધરણા-પ્રદર્શનને નમક-રોટી નામ આપવામાં આવેલ છે.
સવારે 6 વાગ્યાથી 24 કલાક માંટે બંધ રહેશે પંપ
DPDAના એક નિવેદનમાં સામે આવ્યું હતું કે રાજધાની દિલ્હીમાં આશરે 400 પંપ એવા છે જેમાં CNG પંપ સ્ટેશન પણ જોડાયેલા છે. આ તમામ દિલ્હી સરકારના નિર્ણયની વિરૂધ્ધ છે. જેના વિરોધમાં આજે સવારે 6 વાગ્યાથી 24 કલાક માટે આ તમામ પંપ બંધ રહેવાના છે. જે મંગળવારે સવારે 5 વાગે ખુલશે.
DPDAના અધ્યક્ષ નિશ્ચલ સિંઘાનિયાનું કહેવું છે કે કેન્દ્ર સરકારે 4 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 2.50નો પ્રતિ લીટરે ઘટાડો કર્યો હતો. જે બાદ દિલ્હીની આસપાસના રાજ્યોમાં પણ સ્થાનિક સરકારે ઇંધણના ભાવ ઘટાડ્યા હતા.
જો કે દિલ્હી સરકારે ઇંધણ પરના વેટ ઘટાડવાનો ઇન્કાર કરતા દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અન્ય રાજ્યની સરખામણીએ વધુ જ રહેવા પામ્યા હતા જેના વિરોધરૂપે આજે આ બંધની જાહેરાત કરવામાં આવી છે.