ભારત દેશમાં નેતાઓની દાદાગીરીના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. આવા જ એક કથિત કિસ્સામાં એક પેટ્રોલ પંપના મેનેજરે તેના પેટ્રોલ પંપ ઉપરથી મફતનું પેટ્રોલ ભરાવી જતા બે ઈસમોથી કંટાળીને આત્મહત્યા કરી દીધી. બંને વ્યક્તિઓ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે તેવી સંભાવના છે.
ગાઝિયાબાદમાં એક આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર શહેરના સિહાની ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલ્હી રોડ પરના મોલટી ગામમાં એક HPનો પેટ્રોલ પમ્પ આવેલો છે. પંપ પર રહેતો-65 વર્ષીય મેનેજર રામપાલ મુઝફ્ફરપુર બિહારનો વતની હતો. રામપાલે પંપ પર લટકીને આત્મહત્યા કરી હતી. તેની સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.
સ્યુસાઇડ નોટમાં તેણે પોતાની મોત માટે બે લોકોને દોષી ઠેરવ્યા હતા. જેના નામ સોમવીર તોમર અને પ્રમોદ તોમર છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંને કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધિત છે.
સુસાઇડ નોટમાં રામપાલે બંને નેતાઓ પર આરોપ લગાવ્યો છે કે તેમણે પેટ્રોલ પમ્પ પરથી 20-22 લાખ રૂપિયાના પેટ્રોલ ભરાવ્યું છે, પરંતુ તેમને ચૂકવણી કરી નથી. જેના કારણે મેનેજરે આત્મહત્યા કરી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાંથી સુસાઇડ નોટ મળી હતી. આ સાથે મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે.