સતત 16 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઈ રહેલા વધારાના અંતે 17મા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયાના સારા સમાચાર આવ્યા હતા. વહેલી સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 60 પૈસાનો ઘટાડો થયાના અહેવાલ મળ્યા હતા. આ અહેવાલ સાંભળતા જ સૌકોઈના ચહેરા પર સ્મિત ઝળકી ઉઠયું હતું. જોકે બાદમાં IOCએ પોતાની ભૂલ સ્વીકારી અને સવારે જાહેર કરેલા આંકડાઓ ભૂલથી ખોટા છપાઈ ગયા હોવાનું જણાવ્યું.
કહેવત છે ને કે મોમાં આવેલો કોળિયો કોઈ છિનવી જાય. તેવી જ સ્થિતિ ગ્રાહકોની થઈ. સામાન્ય જનતાને માંડ પેટ્રોલ-ડીઝલ પર આંશિક રાહત મળી હતી. જોકે બાદમાં IOCએ જાહેરાત કરી કે પેટ્રોલ અને ડીઝલમાં માત્ર 1 પૈસાનો ઘટાડો થયો છે. જે સાંભળીને અનેક લોકોમાં નારાજગી છવાઈ ગઈ.
જો કે હવે સવાલ એ છે કે આ તો હતી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની વાત. જેમાં કંપની દ્વારા ભૂલ થતાં તેને ભૂલ સ્વીકારી અને ભાવ ઘટાડો પાછો ખેંચી લીધો. પરંતુ કોઈએ એ વાત પર ક્યારેય ધ્યાન દોર્યું કે ઓઈલ કંપનીઓ દ્વારા જે ભાવ વધારો કરવામાં આવે છે. તેમાં ક્યારેય તેમનાથી આવી ભૂલ નહીં થઈ હોય ? અને જો ભૂલ થઈ હોય તો પણ કંપની સ્વીકારે ખરી? ભાવ વધારામાં ભૂલ થઈ હોય તો કંપનીને જ ફાયદો છે. તો તે સામેથી કઈ રીતે સ્વીકારે?. અહીં તો ભાવ ઘટાડાની વાત હતી. એટલે કંપનીએ ભૂલ પણ સ્વીકારી અને ભાવ ઘટાડો પણ પાછો ખેંચી લીધો?