જો તમે પોતાને પાલતુ પ્રાણીઓને ઘરમાં રાખનારા શોખીન લોકોની યાદીમાં સામેલ કરો છો તો તેની સાથે જોડાયેલા અમુક નિયમો અંગે તમને જાણકારી હોવી જોઈએ. નહીંતર કોઈ દિવસ મોટો દંડ ભરવો પડી શકે છે.
શું તમે શ્વાન પાળવાના શોખીન છો?
આ નિયમોની જાણકારી અવશ્ય રાખજો
નહીંતર કોઈ દિવસ મોટો દંડ ભરવો પડી શકે છે
શ્વાન પાળવાના શોખીન હોય તો આ નિયમો અવશ્ય જાણી લેજો
હાલમાં સોશિયલ મીડિયામાં ઘણા એવા વીડિયો વાયરલ થયા છે, જેમાં ઘણા લોકો શ્વાનના હુમલાના શિકાર થયા છે. શ્વાનની અનેક પ્રજાતિઓ હોય છે, જે ખૂબ ગુસ્સાવાળી હોય છે તો અમુક ખૂબ ફ્રેન્ડલી હોય છે. ઘણી વખત અજાણ્યા લોકોની સાથે-સાથે પાળેલા શ્વાન પણ ઘરના લોકો પર હુમલો કરી દે છે. જો તમે શ્વાન પાળવાના શોખીન છો તો તેની સાથે જોડાયેલા અમુક જરૂરી નિયમોની જાણકારી અવશ્ય હોવી જોઈએ.
પાલતુ પ્રાણીઓ સાથે જોડાયેલા જરૂરી નિયમ
ભારતીય પશુ કલ્યાણ બોર્ડે પાલતુ પ્રાણીઓના અમુક નિયમ જણાવ્યાં છે, જેની જાણકારી માલિકને હોવી ખૂબ જરૂરી છે. પાલતુ પ્રાણી રાખતા પહેલા તમારે લાઈસન્સ લેવુ પડશે. તમારે આ વાત યાદ રાખવાની છે કે પાલતુ પ્રાણીઓથી તમારા પાડોશીઓ અને ઘરના કોઈ બીજા માણસથી મુશ્કેલી ન હોવી જોઈએ. આ ઉપરાંત કોઈ સોસાયટી તમને શ્વાન પાળતા રોકી શકશે નહીં અને શ્વાન માટે લિફ્ટના ઉપયોગ પર કોઈ અલગ ચાર્જ લઇ શકશે નહીં.
પ્રાણીઓના અધિકાર
ભારતીય બંધારણમાં પ્રાણીઓને પણ અમુક અધિકાર આપવામાં આવ્યાં છે, જે અંગે તમારે જાણવુ જોઈએ. પીસીએ અધિનિયમ 1960 હેઠળ શ્વાનને મારી શકાય નહીં. કોઈ ગર્ભ ધારણ પ્રાણીને તમે છોડી શકો નહીં. આ ગુનાની કેટેગરીમાં આવે છે. મહત્વનું છે કે, બંધારણના આર્ટીકલ 51 (A) હેઠળ પ્રાણીઓને પણ જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે અને તેના અધિકારોની રક્ષા માટે દેશના લોકોની ભૂમિકા નક્કી કરવામાં આવી છે. દેશમાં પ્રાણીઓને જીવથી મારી નાખવા અથવા ઝેર આપવાને ક્રાઈમની યાદીમાં રાખવામાં આવ્યાં છે. જે અંગે ભારતીય દંડ સહિતા 428 અને 429માં જણાવવામાં આવ્યું છે.