રોજ સવારે ખળખળ વહેલી સાબરમતીના અવાજથી શરૂ થતો તમામ અમદાવાદીઓનો દિવસ જાણે આજે થંભી ગયો હોય. આવી લોકડાઉનની પરિસ્થિતિમાં અમદાવાદના રહેવાસી અને VTVમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા ભૂષિતા ખીંચીએ પોતાની લાગણી અહીં વર્ણવી છે. લૉકડાઉન અને સાથે જ કોરોનાના ડરના કારણે લોકો ઘરમાં જ રહેવા મજબૂર બન્યા છે ત્યારે મારા અમદાવાદની સડકો મને જાણે કે કોઈ અલગ જગ્યાએ રહેવાનો આભાસ કરાવે છે. નાગરિકો PM મોદીના મંત્ર લૉકડાઉનને પોતાના જીવ બચાવવા માટે ફોલો કરી રહ્યા છે.
લૉકડાઉનમાં ક્યાંક ખોવાઈ ગયું મારું અમદાવાદ
સરકાર અને રાહત ફંડમાં દાન કરનાર તમામ વ્યક્તિઓને સલામ
કોરોના કમાન્ડોઝને મારી એક સલામ
કોરોનાના કારણે પોતાના થયા પારકા
વિદેશથી આપણા દેશમાં આવેલો કોરોનાનો ડર લોકોમાં એવી રીતે ફેલાયો છે કે જાણે લોકોએ ઘરની બહાર નીકળવાનું, કોઈની સાથે વાત કરવાનું પણ ટાળી દીધું છે. આ સમયે જો કોઈની ખાસ ચર્ચા થઈ રહી હોય તો તે છે દેશમાં ક્યાં કેટલા પોઝિટિવ કેસ છે, કેટલા નેગેટિવ છે, કેટલા લોકો સાજા થયા અને કેટલા ઈશ્વરને ઘરે પહોંચ્યા. આ સાથે ગૃહિણીઓને કોઈ ચિંતા હોય તો આખો દિવસ ઘરમાં રહેતા પતિ, વડીલો, બાળકોને નાસ્તા અને જમવામાં શું આપવું. એક તરફ શાક અને દૂધ લાવવાની માથાકૂટ અને એક તરફ ઘરમાં જ રહીને કંટાળી ગયેલા લોકો. પણ શું તમે એ જાણો છો કે આ એ જ લોકો છે જે પરિવાર સાથે રહેવા તરસતા હતા, બાળકો ન ભણવા માટે અનેક બહાના બનાવતા હતા અને પત્નીઓ પતિને ઘરમાં રહેવા માટે કકળાટ કરતી હતી. પરંતુ શું કોઈએ ધાર્યું હતું કે તેમને આ ચીજો મળશે તો ખરી પણ તેમને આ માટે આટલી મોટી મહામારી સામે લડવું પડશે. કદાચ નહીં.
લૉકડાઉનને કારણે અચાનક બદલાઈ ગયો અમદાવાદી
આ સાથે જ દેશભરમાં કોરોના કમાન્ડોઝ પણ તેમના જીવ અને તેમના પરિવારને છોડીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ સમયે એક વિચાર એવો પણ આવે કે જાણે શોપિંગ, આઉટિંગ અને મોલ્સમાં ફરનારો અમદાવાદી જાણે કે બદલાઈ ગયો હોય. સડક પર જઈએ તો મારું અમદાવાદ મારું લાગતું જ નથી. નથી ટ્રાફિકનું ટેન્શન, નથી સોસાયટીઓમાં બાળકોના શોરગુલ અને નથી કોઈ સમય સાચવવાની માથાકૂટ. કંપનીના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમને અનુસરે છે અને સાથે જ બાળકો આખો દિવસ ઘરમાં ટીવી, ફોન અને ટેબલેટમાં ખોવાયેલા રહે છે. આ સાથે જ એક વધુ લાગણીસભર કરી દેતી વાત બની હોય તો એ છે કે જાણે આજે સગું જ કોઈનું સગું રહ્યું નથી.
કોરોનાએ તમારું શું છીનવ્યું?
કોરોનાના કારણે અનેક પરિવારો જે અન્ય દેશમાંથી ગુજરાતમાં કમાવવા આવ્યા હતા તેઓ આજે રોજી રોટી વિનાના, ઘર વિનાના અને પગપાળા પોતાના ઘરે જવા મજબૂર બન્યા છે. આ વ્યથા કદાચ શબ્દોમાં જેટલી નાની લાગે છે તેટલી જ વધુ લાંબી અને દુઃખદ છે. તેઓના મનમાં સરકાર માટે રોષ છે. જો કે સરકાર પણ તેમના માટે હવે વ્યવસ્થા કરી રહી છે. અનેક પ્રકારની સેવાઓ મેડિકલ, ફૂડ કાઉન્ટર્સ કે પછી એમ્બ્યુલન્સની સેવાઓ માટે હેલ્પ લાઈન નંબર્સ વહારે આવ્યા. જેણે કોઈને કોઈ રીતે આ મહામારીમાં સારથિની ફરજ બજાવી. કોરોના કમાન્ડોએ પણ સેવા કરતી સમયે અનેક ચીજો ગુમાવી છે અને છતાં તેઓ દરેક વ્યક્તિને નિવેદન કરીને સમજાવી રહ્યા છે.પણ શું એ પણ યોગ્ય છે કે તમે આ જ કમાન્ડોને આ સમયે ઘર છોડવા કહો, કે પછી પોલીસને સાથ આપવાના બદલે તેમની પર હાથ ઉપાડો, લૉકડાઉનમાં પણ વગર કારણે આંટા મારવા જાઓ અને બહાર ભીડ કરો. મહેરબાની કરીને આવું ન કરો. નહીં તો તેમની સાથે તમારી અને તમારા પરિવારની મુશ્કેલીઓ વધી જશે.
કોરોનામાં સરકારે અને અનેક દિગ્ગજોએ કર્યું બિરદાવવા લાયક કામ
વિદેશમાં જ્યારે કોરોનાએ દેખા દીધી ત્યારે ભારત સરકાર પહેલાંથી જ તેને માટેની તૈયારીઓ કરી રહી હતી. કીટલીથી જિંદગીની શરૂઆત કરનાર PM મોદીને પણ હાર્ડશીપ શું હોય છે તેનો ખ્યાલ છે. દેશના લોકોને આ સમયે બચાવવા તેઓએ જનતા કર્ફ્યૂ અને પછી લૉકડાઉનને માટે લોકો પાસે 21 દિવસ માંગ્યા. દેશવાસીઓએ પણ PMને સાથ આપ્યો. PMએ દેશવાસીઓને લૉકડાઉનમાં જરૂરી સુવિધાઓ મળી રહે તે માટેની તમામ વ્યવસ્થા કરી છે. હવે દેશવાસીઓએ નિયમોને અનુસરીને પોતાને બચાવવાનું કામ કરવાનું છે. PMએ આદેશ આપ્યા છે કે નહીં તો કોઈનો પગાર કપાય અને ન કોઈએ ઘરની બહાર કામ કરવા જવું પડશે. દરેક વ્યક્તિ ઘરે રહીને ઓફિસનું કામ પણ રાબેતા મુજબ કરી શકશે. આ સાથે જ હોમ લોન, કાર લોનના હપ્તા, પેન્શન વગેરેને લઈને અનેક સહાય પણ આપી છે. ગુજરાતના CM અને PM તથા નાણાંમંત્રીએ પણ કોરોનાને નાથવા માટે જે પહેલ શરૂ કરી છે તેને WHOએ પણ બિરદાવી છે.તો મેડિકલ હોય કે કોઈની આંતરડી ઠારવાનું કામ. સરકાર તેમાં સફળ રહી છે. જેનાથી લોકોને રાહત મળી રહેશે. આ સિવાય અનેક દિગ્ગજ કંપનીઓના માલિકો, સામાજિક કાર્યકરો અને બોલિવૂડ કે સ્પોર્ટ્સમાં કામ કરી રહેલા યુવાનો, કેટલીક કંપનીઓના કર્મચારીઓના પગાર પણ રાહત ફંડમાં જમા કરાવવામાં આવ્યા છે. જેથી સરકારને મદદ મળી રહે. પણ આ મહામારી છે તો થોડું તો તમારે પણ સફર થવું જ રહ્યું.