ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિ 24 કલાકની અંદર કોરોના સ્પ્રેડર એટલે કે કોરોનાને ફેલાવવા લાગી જાય છે તેવો એક મોટો ખુલાસો વૈજ્ઞાનિકોએ કર્યો છે.
અમેરિકાના મોટા સ્ટડીમાં થયો ખળભળાવી મૂકે તેવો ખુલાસો
ઓમિક્રોન દર્દી 24 કલાકની અંદર ફેલાવવા લાગે છે કોરોના
સંક્રમિત વ્યક્તિ સંપર્કમાં આવનાર તમામને લગાડે છે ચેપ
ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિ 24 કલાકની અંદર કોરોના સ્પ્રેડર એટલે કે કોરોનાને ફેલાવવા લાગી જાય છે. આ સંક્રમિત વ્યક્તિ તેના સંપર્કમાં આવનાર તમામ વ્યક્તિઓને ચેપ લગાડવા લાગે છે. ડેલ્ટા સહિતના બીજા વેરિયન્ટમાં કોરોના સ્પ્રેડર બનવામાં 2થી4 દિવસનો સમય લાગતો હતો તેવું અમેરિકાના એક મોટા સ્ટડીમાં બહાર આવ્યું છે. કોરોના સંક્રમિત વ્યક્તિ લક્ષણો આવ્યાના થોડા દિવસ પહેલા અને સમાપ્ત થયાના થોડા દિવસ બાદ સંક્રમણ ફેલાવતો હતો તો ઓમિક્રોન વેરિયન્ટના કિસ્સામાં વ્યક્તિ 1 દિવસની અંદર જ કોરોના સંક્રમણ ફેલાવવા લાગી જાય છે. ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિમાં લક્ષણ 3 દિવસની અંદર જોવા મળે છે જ્યારે આ વેરિયન્ટથી સંક્રમિત થયાના 1 દિવસની અંદર વ્યક્તિ બીજા લોકોને સંક્રમિત કરવા લાગે છે.
ઓમિક્રોન વેરિયન્ટ અતિ સંક્રમક થવાનું મુખ્ય કારણ
ઓમિક્રોન વેરિયન્ટ અતિ ચેપી હોવાનું મુખ્ય કારણ તેનો ઈન્ક્યુબેશન પીરિયડ (ઉત્તપ્તિ સમયગાળો) છે. કોઈ વ્યક્તિના કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવવાના અને લક્ષણ પેદા થવાની વચ્ચેના સમયને ઈન્ક્યુબેશન પીરિયડ કહેવાય છે. ડેલ્ટામાં આ સમયગાળો 4 દિવસ અને આલ્ફામાં 5 દિવસનો હતો પરંતુ ઓમિક્રોન વેરિયન્ટનો ઈન્ક્યુબેશન પીરિયડ ફક્ત 3 દિવસ છે તેથી તે ઝડપથી લોકોને સંક્રમિત કરી શકે છે.
સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યાં પછી ક્યારે ટેસ્ટ કરાવવો
કોરોનાના લક્ષણો જોવા મળે કે તરત ટેસ્ટ કરાવવો હિતાવહ છે. તેને માટે આરટી-પીસીઆર ટેસ્ટ વધારે યોગ્ય છે. લેબમાં થનાર ટેસ્ટ વાયરસની ઓળખ કરવામાં વધારે સક્ષમ હોય છે.
ઓમિક્રોન કોરોના મહામારીથી અલગ
દુનિયામાં કોરોનાનું રહસ્ય ગહેરાઈ રહ્યું છે. હવે બે મહામારી સાથે સાથે ચાલી રહી હોવાની વાત થવા લાગી છે. ભારતના મશહૂર વાયરોલોજિસ્ટે દાવો કર્યો છે. ICMRના પૂર્વ ડિરેક્ટર અને જાણીતા વાયરોલોજિસ્ટ ટી.જૈકબ જોને કહ્યું કે ઓમિક્રોન કોરોના મહામારીથી અલગ છે અને તેથી એવું માની લેવું જોઈએ કે હાલમાં બે મહામારી સાથે સાથે ચાલી રહી છે. જોને કહ્યું કે ઓમિક્રોન વુહાન-ડી 614 જી, આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા, કપ્પા અથવા મ્યૂથી પેદા થયેલો નથી તે નક્કી છે. તેમણે કહ્યું હતું કે, ઓમિક્રોનનું મૂળ જાણી શકાયું નથી, પરંતુ વુહાન-ડી614જીથી થોડો ફર્ક છે.
કોરોનાનો લોકોના શ્વસન તંત્ર પર હુમલો, ઓમિક્રોન માત્ર ગળા સુધી સીમિત
ડો. જેકોબે જણાવ્યું હતું કે કોરોના લોકોના શ્વસન તંત્ર પર હુમલો કરી રહ્યો છે બીજી તરફ ઓમિક્રોન માત્ર ગળાના વિસ્તારમાં જ અટકી જાય છે. તેમણે કોવિડની ત્રીજી લહેર અંગે જણાવ્યું કે મેટ્રો શહેરોમાં તેની અસર વધુ દેખાશે અને ચેપના કેસ જેટલી ઝડપથી વધશે તેટલી ઝડપથી ઘટી જશે.
ભારતમાં ત્રીજી લહેર પીક પર આવી
કેટલાક સ્થળોએ કેસ ઓછા થવા લાગ્યા હોવાથી ત્રીજી લહેર ચરમસીમાએ પહોંચી ગઈ છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા જોને કહ્યું હતું કે પ્રથમ સંક્રમણ મેટ્રોપોલિટન શહેરોમાં શરૂ થયું છે અને ત્યાંથી સમાપ્ત થશે. તેમણે કહ્યું કે, બધા માટે આ આંતરરાષ્ટ્રીય મહામારી છે. કોરોનાનો વધારે ચેપી ઓમિક્રોને કારણે ભારતમાં ત્રીજી લહેર આવી છે તેવું તેમનું કહેવું છે.