લોકસભાની ચૂંટણીને હવે ગણતરીનાં જ કલાકો બાકી છે. પરંતુ આ ચૂંટણી પહેલાં નેતાઓ લોકોને આકર્ષવા માટે પોતાને દેશનાં ચોકીદાર તરીકે ઓળખાવી રહ્યાં હતાં અને ઓળખાવી રહ્યાં છે. એટલું જ નહીં આવા નેતાઓનાં સમર્થકો પણ પોતાને ચોકીદાર તરીકે ઓળખાવીને ચોકીદાર શબ્દનાં સહારે આખેઆખું કેમ્પેન પણ ચલાવી રહ્યાં છે. જો કે આ બધી જહેમત ચૂંટણી જીતવા માટે હોય છે. ત્યારે એવાં સમયે આપણાં જ રાજ્યનો એ ચોકીદાર યાદ આવી જાય છે કે જેણે ધર્મની ઓળખને પેલેપાર ફરજને વફાદાર રહી ખરા અર્થમાં પોતાની ચોકીદારી નિભાવી. આ બધું તેણે ચૂંટણી જીતવા નહીં, પરંતુ ફરજ અને નાગરિકી ધર્મને જીતવા માટે કરી બતાવ્યું. કોણ હતો એ અદનો ચોકીદાર.
કાળની ગર્તામાં ધકેલાઈ જાય તે પહેલાં આછી ઝાંખી તસવીરમાં જોવા મળતો ઈમાનદારીનાં પ્રતિ કસમો આ ચહેરો બરબાર નિહાળી લેજો. નેતાદારીની ચોકીદારીની વાતોમાં ભ્રમિત થતાં પહેલા ઈતિહાસનાં પાનાં પર જરા નજર નાખી લેજો. આ તસવીર પર નજર નાખવા માટેનું એમ કોઈ ખાસ કારણ નથી પરંતુ 'મેં ભી હૂં ચોકીદાર'નાં શોરબકોર વચ્ચે એક સાચા ચોકીદારની એ છબી પર નજર કરવાનું મન રોકી ન શકાયું.
છબી જોઈ તો તેનો ઈતિહાસ ફરી ફરી જાણવાની ઈચ્છા થઈ આવી. આજે આખા ભારતમાં "હું ચોકીદાર છું" અને "ચોકીદાર ચોર છે"નાં નારાઓ ગૂંજી રહ્યાં છે ત્યારે "સાચો ચોકીદાર" કોને કહેવાય તે જાણવું જરૂરી બની જાય છે. ચોકીદાર કેવો હોય તે ઇતિહાસનાં પાનાઓ પર સુવર્ણાક્ષરે અંકિત થયેલો પ્રસંગ જરૂરથી યાદ કરવો પડે. રાજાશાહીનાં સમયગાળામાં ભાવનગર સ્ટેટમાં સિદી મુબારકબીન અબ્દુલ્લાહ નામનો એક ચોકીદાર નોકરી કરતો.
ભાવનગરનાં પ્રજાવત્સલ રાજવી ભાવસિંહજી સમયગાળામાં નિલમબાગ પેલેસનાં રાજખજાનાની ચાવીઓ પણ આ મુબારક નામનાં ચોકીદાર પાસે જ રહેતી હતી. રાજ ખજાનામાં મહારાણીનાં ઘરેણાનો પણ સમાવેશ થતો હતો. ખજાનાની તિજોરીમાંથી મહારાણીને જરૂર પડ્યે ઘરેણાં આપવાની અને પરત મૂકવાની જવાબદારી રાજ ચોકીદાર સિદી મુબારકની હતી. ઝાંખી દેખાતી આ તસવીરો ચોકીદાર મુબારકની ઈમાનદારીથી ચમકી રહી છે.
હાલમાં દેશમાં દરેક વ્યક્તિ પોતાને ચોકીદાર તરીકે ઓળખાવી રહ્યાં છે ત્યારે એ ખરા ચોકીદારનાં પરિવારજનોને પણ એ ચોકીદારની છબી પર જામેલી ધૂળ દૂર કરવાની જહેમત ઉઠાવવી પડી છે. તેમને ચિંતા છે કે સાચા ચોકીદારની વ્યાખ્યા જ ન બદલાઈ જાય. રાજ ચોકીદાર સીદી મુબારકે પોતાની ફરજ બખૂબી નિભાવી નિભાવી. તેમને રાજના ખજાનાને ક્યારેય ઉની આંચ ન આવવા દીધી કે ન તો તેમાં સ્વાર્થને દાખલ થવા દીધો.
ભાવનગરનાં નિલમબાગ પેલેસનો ચોકીદાર "મુબારક" 20 એપ્રિલ 1940નાં દિવસે અલ્લાહને પ્યારા થઇ ગયાં હતાં. તેમણે એક ચોકીદાર તરીકેની પોતાની વફાદારીનાં કારણે મહારાજ ભાવસિંહજીનું હૃદય જીતી લીધું હતું અને એટલે જ તો તે ચોકીદાર મુબારક અંત સમયે મહારાજાની કાંધનાં હકદાર બન્યાં હતાં. કહેવાય છે કે મહારાજા પોતે તેમની દફનવિધિમાં રોકાયાં હતાં અને રાજવી પરિવારનાં નિયમ મુજબ આન, બાન અને શાન સાથે તેમની દફનવિધિ કરવામાં આવી હતી.
આરસથી મઢેલી આ કબર હજુ પણ ભાવનગરનાં મુસ્લિમ કબ્રસ્તાનમાં "મુબારક"ની કબરનાં નામે હયાત છે. ભાવનગરનાં આ મહારાજાએ મુબારકની કબર પર કબરનું નામ "ધ લોક ઓફ નિલમબાગ" અને "માય રોયલ સર્વન્ટ" એવું કોતરાવીને એક ચોકીદારની વફાદારીને બિરદાવી છે. મુબારકની કબર પાસે આરસ પર મુબારકનો કાર્યકાળ વિગતે દર્શાવેલો છે. ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે સાચા ચોકીદાર હોવાનાં અનેક પુરાવા હોય છે. જે સમાજ કે માલિક આપે છે. પરંતુ કોઈ જાતે જ ચોકીદાર તરીકે ઓળખાવા લાગે તો તેનાં પુરાવા ક્યાંથી શોધવા અને કેટલાં માનવા?