લોકડાઉન બાદ ધરાશાયી થઈ રહેલી દુનિયાભરની અર્થવ્યવસ્થામાં નવો પ્રાણ ફૂંકવા માટે પણ સંજીવની સમાન એક વેક્સિનની બહુ જરૂર છે. હતાશ થઈ ચૂકેલા લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ પણ આ વેક્સિન જ કરશે.
PM મોદીએ ઝાયડસ, ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની લીધી હતી મુલાકાત
અમદાવાદ, ફરીદાબાદ અને દેશના અન્ય શહેરોમાં લોકો ટ્રાયલ માટે સ્વેચ્છાએ આગળ આવી રહ્યા છે
વેક્સિનનો હજુ અંતિમ નિષ્કર્ષ આવવાનો બાકી
કોરોનાકાળમાં સમગ્ર દુનિયાને આ ઘાતક વાઈરસ પર કાબૂ મેળવવા માટે એક અસરકારક વેક્સિનની રાહ છે. સુરક્ષિત અને કારગત વેક્સિન દુનિયા માટે કોઈ સંજીવની સમાન જ હશે. આ સંજીવની ફક્ત માણસોનો જીવ બચાવશે એટલું જ નહીં પણ વિશ્વને ફરી આત્મવિશ્વાસ સાથે જીવવાનું બળ પણ આપશે. લોકડાઉન બાદ ધરાશાયી થઈ રહેલી દુનિયાભરની અર્થવ્યવસ્થામાં નવો પ્રાણ ફૂંકવા માટે પણ સંજીવની સમાન એક વેક્સિનની બહુ જરૂર છે. હતાશ થઈ ચૂકેલા લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ પણ આ વેક્સિન જ કરશે.
હાલ દુનિયાભરમાં કોરોનાની વેક્સિનની અંતિમ તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. ભારતમાં પણ વેક્સિનના ત્રીજા અને અંતિમ તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. ભારતમાં વેક્સિનના મોરચે સારા સમાચાર સામે આવ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ વેક્સિનનો મોરચો સંભાળી લીધો છે.
PM મોદીએ ઝાયડસ, ભારત બાયોટેક અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની લીધી હતી મુલાકાત
પીએમ મોદીએ એક જ દિવસમાં અમદાવાદમાં ઝાયડસ બાયોટેક, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈ વેક્સિનની તૈયારીની સમીક્ષા કરી હતી. તેમની આ મુલાકાતનો ઉદ્દેશ્ય દેશમાં સામૂહિક રસીકરણ સામેના પડકારો, તૈયારીઓ અને તેનો રોડમેપ જેવાં વિવિધ પાસાંની જાણકારી મેળવવાનો હતો. વડાપ્રધાન મોદીની આ મુલાકાતનાં ઘણાં સકારાત્મક પરિણામ સામે આવ્યાં છે. દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ આદર પૂનાવાલાનું કહેવું છે કે કોરોનાની વેક્સિનમાં કોઈ પ્રકારના વિલંબની શક્યતા જ નથી.
અમદાવાદ, ફરીદાબાદ અને દેશના અન્ય શહેરોમાં લોકો ટ્રાયલ માટે સ્વેચ્છાએ આગળ આવી રહ્યા છે
કંપની કોવિશીલ્ડ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી લેવા માટે ટૂંક સમયમાં જ અરજી કરવાની છે. સૌથી પહેલાં વેક્સિનનું વિતરણ ભારતમાં જ કરવામાં આવશે અને અન્ય દેશોમાં તેના સપ્લાય અંગે બાદમાં વિચારવામાં આવશે. આ વાતનો સ્પષ્ટ અર્થ એ થાય કે ભારત કોરોનાની વેક્સિન બનાવવાની ખૂબ નજીક પહોંચી ગયું છે. ભારત બાયોટેક ઈન્ટરનેશનલ કોવેક્સિન નામથી સ્વદેશી વેક્સિન વિકસિત કરી રહી છે, જેના ત્રીજા તબક્કાના પરીક્ષણ દરમિયાન ઉત્સાહજનક પરિણામ સામે આવ્યાં છે. ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ સૌથી મુશ્કેલ કામ ગણાય છે, કેમ કે લોકો તેના માટે જલ્દી તૈયાર થતા નથી. આ પહેલો પ્રસંગ છે કે અમદાવાદ, ફરીદાબાદ અને દેશનાં કેટલાંક અન્ય શહેરમાં લોકો ટ્રાયલમાં સ્વયંસેવક તરીકે સામેલ થવા માટે સ્વેચ્છાએ આગળ આવી રહ્યા છે.
વેક્સિનનો હજુ અંતિમ નિષ્કર્ષ આવવાનો બાકી
અમદાવાદ-ગુજરાતની ઝાયડસ બાયોટેક પણ કોરોનાની વેક્સિન બનાવવાની દિશામાં યુદ્ધ સ્તરે કામ કરી રહી છે. તમામ કંપનીઓ વૈશ્વિક માપદંડનું ચુસ્ત પાલન કરી રહી છે. અમેરિકા, રશિયા જેવા દેશ પોતાની વેક્સિનની ૯૦ ટકા સફળતાનો દાવો કરી ચૂક્યા છે, પરંતુ તેમની વેક્સિનનો હજુ અંતિમ નિષ્કર્ષ આવવાનો બાકી જ છે. કોઈ પણ વેક્સિન બનાવવાની પ્રક્રિયા અત્યંત જટિલ હોય છે. પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલમાં દરેક વ્યક્તિની પહેલાં ક્લિનિકલ તપાસ થાય છે અને ચકાસવામાં આવે છે કે એ વ્યક્તિને પહેલાંથી કોઈ બીમારી તો નથી ને. જ્યારે ત્રીજા તબક્કાની ટ્રાયલ થાય છે ત્યારે તેમાં સ્વયંસેવક સામાન્ય જનતામાંથી જ પસંદ કરવામાં આવે છે. એ વખતે પહેલાંની જેમ તમામ ચકાસણી થતી નથી.
કોરોના વાઈરસના ગાઢ અંધકારમાં આશાનું કિરણ
ભારતની ગણના જેનરિક દવાઓ અને વેક્સિનની દુનિયામાં સૌથી મોટા નિર્માતામાં થાય છે. ભારતીય વેક્સિન કંપનીઓ અન્ય કંપનીઓ કરતાં ઘણી આગળ છે. એકલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ જ ૪૦થી ૫૦ કરોડ ડોઝ બનાવવા માટે સક્ષમ છે. હવે કોરોના વાઈરસના ગાઢ અંધકારમાં આશાનું કિરણ દેખાવા લાગ્યું છે. ભારત સામે એક બીજો મોટો પડકાર સીમિત પરિવહન વ્યવસ્થા અને કોલ્ડ સ્ટોરેજનો પણ છે. કોરોના વેક્સિનની સહજ સુલભતા બહુ જરૂરી છે. તેના માટે પણ મોદી સરકાર રાજ્ય સાથે મળીને એક રોડમેપ તૈયાર કરી રહી છે. વેક્સિનના વિતરણ માટેની વ્યવસ્થા પણ એટલી જ મહત્ત્વની સાબિત થશે. એવું કહેવાય છે કે સપ્ટેમ્બર-૨૦૨૧ સુધીમાં ભારત ૩૦ કરોડ લોકોને વેક્સિન આપવાની મજબૂત સ્થિતિમાં હશે.