રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરાઈ ગયા છે. હવે પક્ષો અને તેમના ઉમેદવારો લોકો વચ્ચે પ્રચાર માટે જઈ રહ્યા છે ત્યારે પક્ષપલટુ નેતાઓને જનતાના સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. કેમકે, જનતાના મનમાં એ સવાલ ઊઠી રહ્યો છે કે, જે નેતા જનતાના મેન્ડેટના ના થયા એ જે તે પક્ષના કઈ રીતે થશે?
જૂનાગઢ: રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરાઈ ગયા છે. હવે પક્ષો અને તેમના ઉમેદવારો લોકો વચ્ચે પ્રચાર માટે જઈ રહ્યા છે ત્યારે પક્ષપલટુ નેતાઓને જનતાના સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે. કેમકે, જનતાના મનમાં એ સવાલ ઊઠી રહ્યો છે કે, જે નેતા જનતાના મેન્ડેટના ના થયા એ જે તે પક્ષના કઈ રીતે થશે?
જ્યારે જનતા સવાલ કરે છે કે તમે કોને પૂછીને અને કોના માટે પક્ષ બદલ્યો? ત્યારે આવા નેતાઓની કાંતો જીભ સિવાઈ જાય છે કાંતો ચૂપચાપ ચાલતી પકડવી પડે છે. કોને કરવો પડયો જનતાના સવાલોનો સામનો જોઈએ આ અહેવાલમાં.
લોકસભા ચૂંટણીમાં કોણ કોની સામે લડશે તેનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે હવે નેતાઓઓ પોતાપોતના મતક્ષેત્રોમાં વિધિવત રીતે પ્રચાર શરૂ કરી દીધો છે. રોડ શોથી માંડીને નાના-નાના મહોલ્લામાં મતદારના સંપર્ક માટે બેઠકો પણ શરૂ કરી દીધી છે.
જ્યાં નેતાઓ પોતે કરેલા કાર્યોનો હિસાબ આપી રહ્યા છે અને ભવિષ્યના સોનેરી સપનાંઓ દેખાડી રહ્યા છે. પરંતુ આ પ્રચાર અભિયાનમાં લોકો સામે જવું એ કેટલાક પક્ષપલટુ નેતાઓ અને કામ ન કરી શકેલા નેતાઓ માટે એટલું સહેલું નથી.
ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પ્રચાર માટે લોકો વચ્ચે નીકળેલા ભાજપના જવાહર ચાવડાને એ અનુભવ થવા લાગ્યો છે કે, પક્ષ બદલવો સહેલો છે લોકોની આશાઓ બદલવી અઘરી છે અને આ કડવો અનુભવ તેમને પોતાના મતવિસ્તાર માણાવદરમાં જ થયો.
માણાવદરમાં દલિત મહોલ્લામાં જ્યારે જવાહર ચાવડા પોતાના પ્રચાર માટે પહોંચ્યા તો લોકોએ તેમના પર સવાલોની ઝડી વરસાવી દીધી જેમાં તેમના પક્ષપલટા માટે તો લોકોમાં રોષ જોવા મળ્યો જ સાથે અધૂરાકામ અંગે પણ લોકોએ પોતાની નારાજગી પ્રગટ કરી. મીટીંગના બદલે સભામાં હોબાળો અને અવ્યવસ્થા સર્જાઈ ગઈ. આ માહોલમાં જવાહર ચાવડા ચૂપચાપ સ્થળ છોડી ગયા અને તેમના કાર્યકરોએ લોકોને શાંત પાડવા માટે જહેમત ઉઠાવવી પડી.
માત્ર જવાહર ચાવડાને જ નહીં પરંતુ ભાજપના જ બીજી ટર્મ માટેના જૂનાગઢના લોકસભા બેઠકના ઉમેદવાર રાજેસ ચુડાસમાને પણ આવા જ પ્રકારની કફોડી સ્થિતિમાં મુકાવું પડયું. માંગરોળના શેતા ગામે રાજેશ ચુડાસમા એક મીટિંગમાં જેવાં ભાજપની સિદ્ધિઓની યાદ દેવડાવવા ઊભા થયા લોકોએ ચુડાસમાને ભૂતકાળના વાયદા યાદ કરાવી દીધા.
લોકોનો રોષ જોઈ રાજેસ ચુડાસમાએ બેસી જવું પડયું. લોકોએ ચાલુ સભાએ રોષ સાથે સીધે સીધું જ સંભળાવી દીધું કે કે તમે મત માગવા જ ગામમાં આવો છો પછી દેખાતા નથી. સવાલોના જવાબ અને બાકી કામનો હિસાબ ન આપી શકાતાં ચુડાસમાંએ સભા આટોપી લેવી પડી હતી. સભા સ્થળે થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.
માત્ર મોટા નેતાઓને જ નહી, પરંતુ ચૂંટણી પ્રચાર કરવા નીકળેલા નાના કાર્યકરોને પણ હવે જનતા સવાલ કરી રહી છે. હવે લોકો એટલા તો જાગૃત થઈ ગયા છે કે ગત ચૂંટણીમાં કયા નેતાએ કેવા વાયદા કર્યા હતા અને તે નેતાઓ સાથે કોણ કોણ સમર્થકો હતા.
એટલે જ તો હવે સ્થાનિકકક્ષાએ મહોલ્લાઓમાં પણ નાના કાર્યકરોને પણ નેતાઓ સાથે ફરવું અઘરું થઈ રહ્યું છે. કેમકે જનતાનો મિજાજ બદલાઈ ગયો છે અને તે વૈચારિક રીતે પરિપકવતા ધારણ કરી રહ્યો છે.