દેશ વિદેશમાં કોરોના વાયરસના ભયને લીધે લોકોએ છ મહિના અગાઉ કરેલા સમર વેકેશનના પ્લાન કેન્સલ કરી દેતાં જ ટ્રાવેલ ઉદ્યોગ અત્યારે ડચકાં ખાઈ રહ્યો છે. લોકો દેશ વિદેશમાં જ નહીં ભારતમાં પણ ફરવા જવા તૈયાર નથી. શેરબજારની મંદી અને કોરોના એમ બેવડો માર ટ્રાવેલ્સ બિઝનેસ પર પડ્યો છે. વેકેશન માટે પ્રવાસીઓએ કરાવેલા ઇન્ટરનેશનલ બુકિંગ ટપોટપ રદ થઈ જતાં ટ્રાવેલર્સને લખો રૂપિયાનું રિફંડ આપવાનો વારો આવતાં હવે સમગ્ર મદાર દિવાળી વેકેશન પર ગયો છે.
લોકો દેશ વિદેશમાં જ નહીં ભારતમાં પણ ફરવા જવા તૈયાર નથી
લોકોએ છ મહિના અગાઉ કરેલા સમર વેકેશનના પ્લાન કેન્સલ કર્યા
હવે સમગ્ર મદાર દિવાળી વેકેશન પર
ગુજરાતમાં 32 ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટ એસોસીએશનના મંત્રી અનુજ પાઠકે જણાવ્યું હતું કે, ઉનાળુ વેકેશનનાં બુકિંગ ડિસેમ્બર-જાન્યુઆરીથી જ શરૂ થઈ જતાં હોય છે. ગુજરાત સરકારે શૈક્ષણિક કેલેન્ડર બદલવાની જાહેરાત કરતાં જ પ્રવાસ બુકિંગ કરાવનારા વાલીઓ મૂંઝવણમાં મુકાયા હતા.
લોકોએ તારીખો બદલાવવી પડે તેમ હતું એટલે ઓછામાં ઓછા 15 ટકા બુકિંગને અસર થઈ હતી. હવે બાકી રહેતી કસર કોરોનાએ પૂરી કરી છે. એટલે ટ્રાવેલ્સ બિઝનેસ હાલમાં આર્થિક સંકડામણમાં મુકાયો છે.
ઈન્ટરનેશનલ તો ખરું જ ઉપરાંત ભારતમાં જ ફરવા જવાનાં બુકિંગને પણ બહુ મોટી અસર થઈ છે. એપ્રિલ-મેના પ્રવાસ સસ્તા થઈ શકે તે માટે અગાઉથી બુકિંગનો ટ્રેન્ડ હોય છે. જે નાના ટ્રાવેલ્સ આયોજકો રોકાણ કરતા હોય છે. પિકનીક સિઝનની શરૂઆતે જ બુકિંગ કેન્સલ થવાના સંજોગોમાં રિફંડ માટે માથાકુટ સર્જાઈ છે.
એક તો આર્થિક મંદી-સ્લો ડાઉન જવાના કારણે ઉનાળુ વેકેશનના બુકિંગ આમ પણ 20-25 ટકા ઓછાં હતાં તેવા સમયે આ નવી ઉપાધિ સર્જાઈ છે.