શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જો રોજગાર જેવી સમસ્યાઓનું સમાધાન નહીં આવે તો લોકો વડાપ્રધાન મોદીનું રાજીનામું માંગી શકે છે. રાઉતે શિવસેના મુખપત્ર સામનામાં દાવો કર્યો છે કે કોરોના વાયરસ મહામારીના કારણે દસ કરોડ લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ અને અત્યારે 40 કરોડ પરિવાર સંકટથી પ્રભાવિત છે.
સંજય રાઉતે વડાપ્રધાન મોદી પર કર્યા આકરા હુમલા
કોરોના વાયરસ અને આર્થિક પરિસ્થિતિ પર સરકારને ઘેરી
સમસ્યાનું સમાધાન ન આવે તો પીએમનું રાજીનામું લોકો માંગશે : સંજય રાઉત
રાજ્યસભાના સાંસદ અને મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા સંજય રાઉતે કહ્યું કે મધ્યમ વર્ગની નોકરીઓ જતી રહી છે. અને વેપારી અને ઉદ્યોગોને ચાર લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે 'લોકોની ધીરજ ખૂટી રહી છે. તે માત્ર વાયદાઓ અને આશાઓ પર જીવી ના શકે. વડાપ્રધાન મોદી આ વાતને લઈને સહમત હશે કે શ્રીરામનો વનવાસ પૂરો થઇ ગયો છે પરંતુ વર્તમાન પરિસ્થિતિ મુશ્કેલ છે. આ પહેલા કોઈએ પણ પોતાના જીવનમાં આટલું અસુરક્ષિત અનુભવ નથી કર્યો.'
તેમણે કહ્યું કે ઈઝરાયલમાં પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુના વિરોધમાં પ્રદર્શન થઇ રહ્યા છે અને કોરોના વાયરસ મહામારીના કારણે આર્થિક સમસ્યાથી લડવામાં નાકામીના કારણે રાજીનામું માંગવામાં આવી રહ્યું છે. ભારતમાં પણ આવું જ જોવા મળી શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે પાંચ રાફેલ વિમાનની સુરક્ષા માટે અંબાલા વાયુસેના એરબેઝની આસપાસ ધારા 144 લગાવી દેવામાં આવી. રાફેલથી પહેલા સુખોઈ અને એમઆઈજી વિમાન પણ ભારતમાં આવ્યા હતા પણ ત્યારે આવી ઉજવણી થઇ ન હતી. બોમ્બ અને મિસાઈલની ક્ષમતાથી લેસ આ રાફેલ વિમાનમાં બેરોજગારી અને આર્થિક સંકટને ખતમ કરવાની ક્ષમતા છે ?' તેમણે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર પાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને રાષ્ટ્રપતિ શાસન લાગી જાય તેવી સંભાવના છે.'