રાજકોટ સહિત રાજ્યભરમાં ઉનાળાએ આકરો મિજાજ અપનાવ્યો છે. ઉનાળાનો તાપ ચરમસીમાએ હોવાથી એસીની ઠંડકમાં પણ ગરમીનો અહેસાર થાય તેવી હાલત ઊભી થઇ છે. આવી વિકટ સ્થિતિમાં પાણીની જરૂરિયાત સ્વભાવિક રીતે વધુ રહેતી હોય છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને પાણીકાપ ઝીંકવાનું ‘શૂરાતન’ ચડ્યું છે. અને આગામી તા. 9 ના રોજ શહેરના 6 વોર્ડમાં પાણીકાપની તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. તંત્રના આ નિર્ણયથી પ્રભાવિત વિસ્તારમાં દેકારો બોલી ગયો છે.
રાજકોટમાં ભરઉનાળામાં પાણીકાપ
રાજકોટમાં ભરઉનાળામાં પાણીકાપ મુકવામાં આવ્યો છે. પાણી પુરવઠાની લાઇન રિપેરીંગની કામગીરીને લઈને પાણીકાપ રાખવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આથી આગામી તા. 9ના રોજ રાજકોટ શ્હેરના વોર્ડ નંબર 7, 8, 12, 13, 14 અને 17 મળી કુલ 6 વોર્ડને પાણી વિતરણથી બાકાત રાખવામાં આવશે. જેને લઈને રાજકોટની આશરે 60 જેટલી સોસાયટીઓના રહેવાસીઓ પાણી વગર તરસ્યા રહે તેવી સ્થિતિ સર્જાઇ છે. જેમાં વોર્ડ નં.7ના ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર તથા વોર્ડ નં. 12 ના વાવડી ગામ, વિશ્વકર્મા સોસા., મહમદી બાગ, શકિતનગર, રસુલપરા, બરકાતીનગર, મધુવન સોસા., ગોવિંદરત્ન, જે.કે.સાગર, વૃંદાવનવાટીકા, આકાર હાઇટસ, પુનિત પાર્ક, અંબિકા ટાઉનશીપ વિગેરે સોસાયટીનો સમાવેશ થાય છે. વધુમાં વોર્ડ નં.14 ના વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક વિસ્તારો પાણી વગરના રહેશે. આ ઉપરાંત વોર્ડ નં.17 ના નારાયણ નગર ભાગ-1,2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1,2,3, હસનવાડી ભાગ-1,2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1,2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગમાં પાણી વિતરણ અટકાવાયુ છે.
બે દિવસ પહેલા ભંગાણ સર્જાયું હતું
નોંધનીય છે કે ભાદર ડેમથી રાજકોટ આવતી પાણીની મોટી પાઇપલાઇનમાં બે દિવસ પહેલા ભંગાણ સર્જાયું હતું.જેને લઈને પાણીનો બગાડ થઈ રહ્યો હતો આથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. પરંતુ આવારંવાર પાણી વિતરણમાં કાંપ મુક્વામાં આવતા રાજકોટની જનતા ભારે પરેશાનીનો સામનો કરી રહી છેં.આથી લોકોમાં RMC ની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.