જૈન ધર્મ અને તેના અનુયાયીઓ અહિંસાની જાળવણી માટે જાણીતા છે. જીવદયા અને અને અહિંસા પરમો ધર્મનો સંદેશો ફેલાવવા માટે તેઓ પ્રયાસરત હોય છે. પરંતુ અમદાવાદના કૃષ્ણનગરમાં જે કિસ્સો સામે આવ્યો છે તેણે આ માન્યતા પર શંકા ઊભી કરી છે. જૈનસંઘ સાથે જોડાયેલા કેટલાક અગ્રણીઓએ જીવદયા કરતી યુવતીને અટકાવીને તેના પર જીવદયા પ્રવૃત્તિ બંધ કરવાનું દબાણ ઉભું કર્યું છે. જેના કારણે આખો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
જૈન ધર્મ આમ તો અહિંસા પરમો ધર્મ અને જીવદયાપ્રેમી અનુયાયીઓથી સભર માનવામાં આવે છે. જેમાં અનેક જૈન અનુયાયીઓ જીવદયાને સર્વોચ્ચ સ્થાન આપતા હોય છે. પરંતુ અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતી ઝલક શાહને જીવદયા જ કરવી મોંઘી પડી. ઝલક છેલ્લા કેટલા સમયથી પોતાના ઘર પાસે રહેતા કૂતરાઓ તથા તેમના માસૂમ બચ્ચાઓને દૂધ પીવડાવવાની સેવા કરે છે. તે બીમાર અને ઘાયલ કુતરાઓને હોસ્પિટલમાં સારવાર પણ અપાવે છે. થોડાક સમય પહેલા કૂતરાના માસૂમ બચ્ચાના રોડ અકસ્માતમાં મૃત્યુ થતાં આ જીવદયાપ્રેમી યુવતીએ પોતાની નજીકના એક ધર્મશાળાના મકાનમાં કૂતરાઓ માટે વસવાટ સુવિધા ઉભી કરવા માટે વ્યવસ્થા કરી હતી.
જો કે ધર્મશાળાનું મકાન થોડા કેટલાક સમયથી વિવાદમાં પણ છે. તેમાં આ યુવતીએ કૂતરાઓને રહેવા માટે કેટલાક જૈન અનુયાયીઓના સહયોગથી એક નાનો હોલ પાડીને પ્રવેશદ્વાર બનાવ્યું હતું. જો કે આ વાત કેટલાક જૈન અગ્રણીઓને ન ગમી અને તેમણે યુવતીની જીવદયા પ્રવૃત્તિમાં રોડાં નાખવાનું શરૂ કર્યું.
યુવતીએ કેટલાક જૈન અગ્રણીઓના આગ્રહથી વિવાદિત ધર્મશાળાના મકાનમાં પાડેલો હોલ સ્વખર્ચે બંધ કરી દીધો હતો. પરંતુ જાણે કેટલાક અગ્રણીઓ જીવદયાપ્રેમી ઝલક શાહને કોઈપણ રીતે હેરાન પરેશાન કરવા જ માગતા હતા. યુવતીનો આક્ષેપ છે કે જૈન સંઘના ટ્રસ્ટી શૈલેષભાઈ તથા અન્ય સંઘના માણસોએ યુવતી સાથે ગેરવર્તન કરીને તેની જીવદયા પ્રવૃત્તિ અટકાવી દીધી છે. એટલું જ નહીં આ લોકોને આ વિવાદિત ધર્મશાળામાં ગેરકાયદેસર બાંધકામ પણ કરાવવું છે એટલે સ્વહિત માટે તે લોકોએ ત્યાંથી કૂતરાના રક્ષણ માટે ચાલતી પ્રવૃત્તિ અટકાવી દીધી છે.
જીવદયાપ્રેમી ઝલક શાહે સંઘના ટ્રસ્ટી અને આગેવાનોના અભદ્ર વર્તનથી ડરી જતા તેને જાતે માફી પત્ર પણ લખીને આપ્યો હતો. તેમ છતાં યુવતીનો આક્ષેપ છે કે હજી પણ પોલીસની ધમકી અને રોડ ઉપર ઉભી રાખીને પોતાની સાથે અયોગ્ય વ્યવહાર કરાઈ રહ્યો છે. ત્યારે હાલ તો આ અગ્રણીઓ પર ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. સમગ્ર ઘટનાને પગલે ડરી ગયેલ યુવતીએ પોલીસ કમિશ્નર અને મહિલા પોલીસની સહાયની માંગણી કરી બન્ને જગ્યાએ અરજી કરી સમગ્ર બાબત જણાવી યોગ્ય ન્યાયની માંગણી કરી છે.
અહિંસા પરમો ધર્મ એ જૈન ધર્મનું સૂત્ર છે. આ ધર્મમાં અહિંસા માટે જે કાળજી લેવામાં આવે છે તે અનુપમ છે. પરંતુ તેમ છતાં કેટલાક તત્વો દ્વારા સ્વહિત ખાતર જીવદયા પ્રેમીઓને કોઈપણ રીતે પરેશાન કરવામાં આવે છે ત્યારે મામલો પોલીસસ્ટેશ તો પહોંચે જ છે સાથે સાથે સમાજમાં ખોટો સંદેશો પણ જાય છે. જેની ચિંતા સમાજના આ સમાજના હિતેચ્છુઓએ કરવી જ રહી.