ભાવનગરની બગડ નદીમાં પૂર બાદ તૂટેલા પુલ પર ફરી વળ્યા પાણી, છેલ્લા એક વર્ષથી પુલની જૈસે થે જેવી સ્થિતિ, ક્યારે કરાશે સમારકામ ?
ભાવનગરમાં બગડ નદીમાં પૂર આવ્યા બાદ સ્થાનિકો પરેશાન
તૂટેલા પુલ પર બનાવેલા ડાયવર્ઝન પર ફરી વળ્યા પાણી
તૂટેલા પુલ પરથી જીવના જોખમે લોકો થઇ રહ્યાં છે પસાર
એક તરફ કરોડોના ખર્ચે નવા રોડ રસ્તા બનાવવાની મંજૂરી આપવામાં આવે છે તો બીજી તરફ એવા પણ ઘણા ગામો છે જ્યાં એક માત્ર રસ્તો હોય અને તે પણ જર્જરિત અવસ્થામાં, આવા રસ્તા અને પુલોનું સમારકામ કરવાની કોઇ તસ્દી લેવામાં આવતી નથી પરિણામે જનતાએ હાલાકી વેઠવાનો વારો આવે છે. જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ મત માંગવા દોડતા આવે પરંતુ ગામનુ કોઇ કામ કરવાની વાત આવે કે પછી ગ્રામજનોની સમસ્યા સાંભળવાની વાત આવે તો તો ગામમાં કોઇ ફરકતુ પણ નથી.
જીવના જોખમે પુલ પરથી પસાર થાય છે જનતા
ત્યારે આજે વાત કરીએ ભાવનગરની. અહીં એક વર્ષથી પુલ તૂટેલો હોવા છતાં આજ દિન સુધી કોઇ સમારકામ કરવામાં આવ્યું નથી. ભાવનગરની બગડ નદીમાં પુર આવતા તૂટેલા પુલ પર પાણી ફરી વળતા સ્થાનિકો પરેશાન થયા હતા. એક માત્ર રસ્તો આરીતે પાણીમાં ગરકાવ થયો હોવાથી લોકોએ જીવના જોખમે પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા હતા. બગડ નદીમાં પુર આવતા મેથાળા બંધારામાં પણ નવા નીર આવ્યા છે.
એક વર્ષ પહેલા બગડ નદી પરનો પુલ તૂટ્યો
આ દ્રશ્યોમાં જોઇ શકાય છે કે નદી પરનો પુલ સાવ બેસી ગયો છે આવી સ્થિતિમાં પુલ પરથી પસાર થવામાં પણ ડર લાગે , પરંતુ સ્થાનિકો નાછૂટકે આ પુલ પરથી પસાર થઇ રહ્યા છે પરંતુ અધિકારીઓ કે નેતાઓને ગ્રામજનોની કશી પડી હોય તેમ લાગતુ નથી. કારણ કે એક વર્ષ થવા છતાં પણ હજી સુધી પુલનું કોઇએ સમારકામ કરાવ્યુ નથી. ચોમાસાની સ્થિતિમાં જો કોઇ અધટિત ઘટના બની તો જવાબદાર કોણ ? એક તો પુલના બાંધકામમાં ભ્રષ્ટાચાર અને પાછુ સમારકામ માટે કોઇની જોડે નવરાશ નહી, આવી સ્થિતિમાં સ્થાનિકો કરે શું ? સ્થાનિકો અવારનવાર તંત્રને રજૂઆત કરીને થાક્યા પણ ગ્રામજનોનું કોઇ એક સાંભળતુ નથી. તંત્રની ઘોર લાપરવાહીને લીધે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
ક્યારે નવા પુલનું કરાશે નિર્માણ ?
ત્યારે અહીં સવાલ એ થાય કે શું આ જોખમી પુલ તંત્રને નહીં દેખાતો હોય, તંત્ર કેમ સ્થાનિકો માટે કોઇ વૈક્લિપક વ્યવસ્થા નથી કરતું? આટલો જર્જરિત પુલ છતાં પણ પુલ પરથી અવરજવર માટે કેમ પ્રતિબંધ નહી. છેલ્લા એક વર્ષથી પુલ તૂટેલો છે, ક્યારે કરાવશે તંત્ર સમારકામ. શું ગામમાં પ્રિ મોન્સૂન કામગીરી લાગુ નથી પડતી. આખરે ક્યારે આવશે સ્થાનિકોની સમસ્યાનો અંત ? ક્યારે ગ્રામજનોને મળશે ગુણવત્તા સભર બ્રિજ તે જોવુ રહ્યું.