જામનગર દેશ, દુનિયામાં હંમેશા ચમકી રહ્યું છે, તેવામાં પુરાતત્વીય સંગ્રહાલય જામનગરે વિશ્વભરમાં પોતાની અનેરી ઓળખ ઉભી કરી છે જેને લઈને વિદેશી લોકો પણ આ મ્યુઝીયમને નિહાળવા આવી રહ્યા છે.
જામનગરએ વિશ્વભરમાં પોતાની અનેરી ઓળખ ઉભી કરી છે
જામનગરમાં મ્યુઝીયમને નિહાળવા દેશ-વિદેશથી લોકો આવી રહ્યાં છે
શિલ્પો, મૂર્તિ, શિલાલેખો સહિત 300થી વધુ વસ્તુઓ અહીં સંગ્રહાયેલી છે
જામનગર એક સમયે નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું રજવાડું હતું. તેના ઉજળા ઇતિહાસને લઈને દેશ, દુનિયામાં જામનગર હંમેશા ઝળક્યુ છે. ત્યારે પુરાતત્વીય સંગ્રહાલય જામનગરે વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. નવાનગરની સફર કરવા અહીં દેશ-વિદેશથી હજારો લોકો આ મ્યુઝિયમને નિહાળવા આવી રહ્યા છે. આ મ્યુઝિયમમાં શહેરનો ઇતિહાસ આબેહૂબ રીતે સચવાયેલો છે. જામનગરની આસપાસ આવેલા પીંઢારા, ગાંધવી અને ઘૂમલીમાંથી મળી આવેલા શિલ્પો, મૂર્તિ, શિલાલેખો, પાળિયા સહિત 300થી વધુ વસ્તુઓ અહીં સંગ્રહાયેલી છે. એટલે કે સાતમીથી માંડીને અઢારમી સદી સુધીનાં શિલ્પો આ મ્યુઝિયમમાં સંગ્રહાયેલા છે. જેને નિહાળવા હાલ સ્થાનિક અને દેશ-દુનિયાના લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
જામનગરમાં મ્યુઝીયમને નિહાળવા દેશ-વિદેશથી લોકો આવી રહ્યાં છે
આ તરફ અહીં હસ્તપ્રતો, તામ્રપત્રો, શિલાલેખો તેમજ જામનગર તાલુકામાંથી મળી આવેલા બે હજાર વર્ષ જૂનાં માટીનાં વાસણોનાં ઠીકરાં પણ સંગ્રહિત છે. વધુમાં ગન પોઇન્ટ અને જૂના જમાનાની તોપો પણ આવેલી છે. અહીં 50થી 52 ફૂટ એટલે કે આશરે 14 મીટર જેટલું લાંબુ બ્લુવેલનું હાડપિંજર મુકવામાં આવ્યું છે. જેને પ્રવાસીઓમાં જબરું આકર્ષણ જમાવ્યું છે. ખાસ ભાગ્યે જ ક્યાંય જોવા મળતા આ હાડપિંજરને નિહાળવા લોકો દૂર દુરથી આવી રહ્યા છે.
તળાવ નગરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે
જામનગર શહેરની બરાબર મધ્યમાં આવેલું રણમલ તળાવ એટલે કે લાખોટા તળાવ પાંચ લાખ ચોરસ મીટરમાં અને ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તળાવ નગરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે અને સહેલાણીઓ તેમજ યાયાવર પક્ષીઓ માટે પણ આદર્શ આશ્રય-સ્થાન પૂરું પાડે છે. અહીં તળાવના પાણીની મધ્યમાં પત્થરના ગઢ પર વર્તુળાકાર સ્થિત છે. જે જામ રણમલજી-2ના હુકમથી દુષ્કાળમાં રાહતના ઉદ્દેશથી પીડિતોના નિભાવ માટે બનાવાયું હતું. ભૂતકાળમાં આવેલા ભૂકંપ અને ચક્રવાતોની વિપરીત અસરોને કારણે જર્જરિત થયેલ કોઠાની જાળવણી અનિવાર્ય હતી. જેને પગલે તાજેતરમાં રીનોવેશન કરાયું હતું.પૌરાણિક સ્મારકના વારસા, ઇતિહાસ અને તેની ઓળખને પુનઃસંગ્રહિત કરવા સંગ્રહાલયનું કાયાકલ્પ કરાયું છે.
આ સંગ્રહાલયના નામે એનેરી સિદ્ધિ એ છે કે આ મ્યુઝિયમ ચારે કોર પાણી વચ્ચે આવેલું છે જે ગુજરાતનું એક માત્ર મ્યુઝિયમ છે. રાજ્યના સૌથી સ્વચ્છ સંગ્રહાલયમાં પણ તેની ગણના થાય છે. રાજ્ય સરકારે વર્ષ 2015માં આ મ્યુઝિયમનું રિનોવેશ કરાવ્યું છે. અત્યારે જામનગરનું પુરાતત્વીય અને સંગ્રહાલય ખાતું તેમજ રમતગમત વિભાગ ગાંધીનગર આ મ્યુઝિયમનું સંચાલન કરી રહ્યું છે.