ઇપીએફઓએ પેન્શન ફંડમાંથી આંશિક ઉપાડની સુવિધા ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો
કર્મચારીઓની પેન્શન સ્કીમ હેઠળ ૬.૩ લાખ લોકોએ પોતપોતાના પેન્શન માટે કમ્યુટેશનનો વિકલ્પ અપનાવ્યો હતો. આ અંતર્ગત તેમને રિટાયર્મેન્ટ વખતે વર્ષ ૨૦૦૯ પહેલાં પેન્શન ફંડમાં જમા રકમનું એકસાથે પેમેન્ટ કર્યું હતું, પરંતુ ૨૦૦૯માં ઇપીએફઓએ આ વ્યવસ્થા પાછી ખેંચી લીધી હતી.
હવે ઇપીએફઓએ કમ્યુટેશન એટલે કે પેન્શન ફંડમાંથી આંશિક ઉપાડની સુવિધા ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે શ્રમ મંત્રાલય ૧ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ નોટિફિકેશન ઇશ્યૂ કરશે.
ત્યાર બાદ પેન્શનધારકો પોતાનું માનસિક પેન્શન ઘટાડીને તેના બદલામાં એકસાથે રકમનો ઉપાડ કરી શકશે. કમ્યુટેશન વ્યવસ્થા હેઠળ પેન્શનધારકોનું માસિક પેન્શન આગામી ૧૫ વર્ષ માટે ૧/૩ (અંદાજે ૩૩ ટકા) ઘટાડી દેવામાં આવે છે અને તેના બદલામાં તેમને એકસાથે મોટી રકમનું પેમેન્ટ કરવામાં આવે છે.
૧૫ વર્ષની સમયમર્યાદા પૂરી થયા બાદ તેમને દર મહિને પેન્શનની પૂરી રકમ મળવી શરૂ થઇ જાય છે. ઇપીએફઓમાં નિર્ણય કરનાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીએ આ વર્ષે ૨૧ ઓગસ્ટે ૬.૩ લાખ પેન્શનધારકો માટે પેન્શન કમ્યુટેશનની સુવિધા આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.