સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવી હતી. જો કે હજુ સુધી તેની ચૂકવણી ન કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. પહેલા તો ખેડૂતોએ લાંબી લાઇનો લગાવી મગફળી વેચવા ઉભુ રહેવું પડે છે અને ત્યાર બાદ પણ બે મહિના સુધી પૈસા ન મળતા ફરીથી માર્કેટિંગ યાર્ડના ધક્કા ખાવા પડે છે.
ખેડૂતોને નવેમ્બર મહિનામાં વેચેલી મગફળીના નાણા નથી મળ્યા
ધોરાજી, ભણવડ, કલ્યાણપુર, ખંભાળિયામાં નાણા નથી મળ્યા
બે મહિનાથી ખેડૂતો યાર્ડમાં ખાઇ રહ્યાં છે ધક્કા
ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો નાણા લેવા જાય છે પરંતુ તેમને બહાના બતાવી અને પરત મોકલી દેવામાં આવી રહ્યાં છે. અધિકારીઓ દ્વારા યોગ્ય કામગીરી ન કરતા ખેડૂતો હેરાન પરેશાન થયા છે. 70થી 80 ખેડૂતોના જથ્થાનો સમાવેશ થઇ શકે છે તેની સામે 200 ખેડૂતોને બોલાવામાં આવે છે. જેને લઇ ખેડૂતો પણ મુશ્કેલીમાં મૂકાયા છે.
મગફળી વેચવાની સાથે મગફળી વેચાણ બાદ પણ નાણા ન મળતા ખેડૂતો લાચાર બન્યા છે. વ્યાજે લીધેલા પૈસાથી ખેતી કરી હોવાને લઇ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે મગફળીનું વેચાણ કરવા આવી રહેલા ખેડૂતો માટે સવાલ એ થાય છે કે ક્યાં સુધી ખેડૂતો આવા ધક્કા ખાતા રહેશે? પહેલા મગફળી વેચવા માટે લાઇન, હવે નાણા લેવા માટે પણ ધક્કા? ધોરાજી માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ કેમ યોગ્યા કામગીરી નથી કરતાં ? બે મહિના બાદ પણ ખેડૂતોને કેમ નાણા નથી મળ્યા ?
બીજી બાજુ આજરોજ ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં સવારથી માર્કેટિંગ યાર્ડ બહાર ખેડૂતોની લાંબી લાઇનો લાગી છે. મગફળી વેચવા આવેલા ખેડૂતોની 1 કિલોમીટર સુધી લાંબી લાઇન જોવા મળી હતી.