મહેસાણાઃ વિજાપુર એપીએમસીમાં શરૂ કરાયેલી ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને પડતા ઉપર પાટું જેવો ઘાટ ઘડાયો છે. એપીએમસીમાં મગફળીના વેચાણ માટે આવતા ખેડૂતોની મગફળીનું બે દિવસે પણ વેચાણ નહીં થતા ખેડૂતોને બે દિવસ માર્કેટમાં પડી રહેવું પડે છે. ભાડાનું વાહન લઇને આવેલા ખેડૂતોને એક તરફ મગફળી વેચાણ નહીં થતા અને બીજી તરફ વાહનનું ભાડું ચડતા કપરી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરી છે. પરંતુ નાના કેન્દ્રો ઉપર રોજના માંડ પાંચ કે સાત ખેડૂતોની મગફળીનું વેચાણ થઈ રહ્યું છે. મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં વિસનગર વિજાપુર અને સતલાસણા એપીએમસીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.
પરંતુ જિલ્લાના ત્રણે ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો ઉપર રોજનું મોડ પાંચ કે સાત ખેડૂતોની મગફળીનું જ વેચાણ થાય છે. આ સંજોગોમાં ખેડૂતોને બે દિવસ સુધી માર્કેટમાં પડી રહેવાની નોબત આવી છે.
બીજી તરફ જે ખેડુતો ભાડાનુ વાહન લઇને મગફળીના વેચાણ માટે આવે છે. તેમને એક તરફ રહેવાનો અને ખાવાનો ખર્ચ તો બીજી તરફ વાહનનું ભાડું ચડતા કપરી સ્થિતિ નિર્માણ થયું છે. આ સંજોગોમાં મગફળીના વેચાણ માટે આવતા ખેડૂતો દ્વારા રોજ 50 ખેડૂતોની મગફળી વેચાણ થાય તેવી માગ કરવામાં આવી છે. જો કે નાના કેન્દ્રો ઉપર હાલમાં માત્ર સાત કે આઠ ખેડૂતોની જ મગફળીનું વેચાણ થઈ રહ્યું છે.