ટેકાના ભાવે મગફળી વેચનાર ખેડૂતોને ચૂકવવા માટે હજુ કેન્દ્ર સરકાર તરફથી નાણા નહીં અપાયા હોવાથી આખરે ગુજરાત સરકારે પોતાના રીવોલ્વીંગ ફંડમાંથી ખેડૂતોને નાણા ચૂકવવાનું શરૂ કર્યું છે. હજુ સુધી માત્ર 1.22 કરોડ ચૂકવાયા છે પરંતુ આગામી બે દિવસમાં 167 કરોડ ચૂકવવામાં આવનાર છે.
જે રીવોલ્વીંગ ફંડના 150 કરોડ કરતા પણ વધારે છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી કેન્દ્ર સરકાર નાફેડ મારફતે કરે છે. ખેડૂતોએ વેચેલી મગફળીના નાણા ચૂકવવાની જવાબદારી પણ નાફેડની જ છે પરંતુ તે પ્રક્રિયામાં વાર લાગતી હોવાથી ખેડૂતોને ઝડપથી નાણા મળે તે માટે વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે રાજ્ય સરકારે રીવોલ્વીંગ ફંડની વ્યવસ્થા કરી છે.
પ્રાથમિક તબક્કે 150 કરોડ જેટલું ફંડ રાખવામાં આવ્યું છે. 15મી નવેમ્બરથી અત્યાર સુધીમાં 198 કરોડની 40 હજાર ટન મગફળીની ખરીદવામાં આવી છે. પરંતુ નાફેડ તરફથી ફંડ નહીં મળતા ગુજરાત સરકારે ચૂકવણું શરૂ કર્યું છે.
નાગરિક પુરવઠા નિગમના એમ.ડી. મનીષ ભારદ્વાજે કહ્યું કે હવે ખેડૂતોને તેમના ખાતામાં સીધી રકમ જમા થાય તેવી તમામ વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે જેથી હવે ચૂકવણી ઝડપથી થશે. આગામી બે દિવસમાં જેની પહોંચ આવી ગઇ છે તેવી 30 હજાર મેટ્રીક ટન મગફળીના 167 કરોડના ચૂકવણા થશે. નાફેડ પાસે 1500 કરોડનું ફંડ હોવા છતાં હજુ તેમના તરફથી કોઇ ફંડ મળ્યું નથી. જો હજુ પણ વિલંબ થશે તો ગુજરાત સરકારને રીવોલ્વીંગ ફંડમાં વધુ રકમ મૂકવી પડે તેવી સ્થિતિ છે.