જૂનાગઢ: મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર સામે આવતા સહકારી મંડળીઓ પર ખેડૂતોએ વિશ્વાસ ગુમાવી દીધો છે .ત્યારે ખેડૂતોની મહેનતની મગફળી સરકારે સહકારી મંડળીઓ દ્વારા ટેકાના ભાવે ખરીદી તો કરી પરંતુ આજ દિન સુધી ખેડૂતોને રૂપિયા મળ્યા નથી.
જૂનાગઢમાં આઠ મહિના થયા છતાં ઝાંઝરડાની સરદાર પટેલ સહકારી મંડળીએ ખેડૂતોને તેમના રૂપિયા આપ્યા નથી. જેથી ખેડૂતોએ સરકાર પર આક્ષેપ લગાવ્યા છે કે સહકારી મંડળી દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે.
બીજી તરફ ખેડૂત હિત રક્ષક સમિતિ કહે છે કે ખેડૂતોને વ્યાજ સહિત રકમ ચૂકવવામાં નહી આવે તો ખેડૂતો મોટાપાયે આગામી સમયમાં આંદોલન કરશે.
ત્યારે અહી સહકારી મંડળી સામે અનેક પ્રકારના સવાલ થાય છે કે ટેકાના ભાવે ખરીદેલ મગફળીના રૂપિયા કેમ ચૂકવાયા નથી? સરદાર પટેલ સહકારી મંડળીએ પૈસા કેમ ચૂકવ્યા નથી?
મગફળી ખરીદેલ આઠ મહિના થયા છતાં કેમ રૂપિયા ખેડૂતોને મળ્યા નથી? શું ટેકાના ભાવે ખરીદેલ મગફળીમાં કાંઈ ગોલમાલ થઈ છે? શું સહકારી મંડળી દ્વારા કરોડો રૂપિયાની ઉચાપત કરાઈ છે? શું ખેડૂતોના રૂપિયા મંડળી ચાઉં કરી ગઈ? જેવા તમામ પ્રકારના સવાલો અહી થઈ રહ્યા છે.