પાકિસ્તાનમાં થનાર એશિયા કપ મુદ્દે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વસીમ ખાનનું નિવેદન સામે આવ્યું છે. થોડા સમય પહેલાં ખબર આવી હતી કે પાકિસ્તાન પોતાના અધિકાર બાંગલાદેશને આપી દેવા તૈયાર છે. જે બાદ આજે PCBએ સ્પષ્ટતા કરી અને એટલું જ નહીં તેમણે ભારતને જ ધમકી આપી દીધી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનાં ચીફે એક અખબારને આપ્યું નિવેદન
ભારતમાં આવતા વર્ષે થનાર T20 વર્લ્ડ કપમાં સામેલ ન થવાની આપી ધમકી
ભારત છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનના પ્રવાસે નથી ગયું
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા પાકિસ્તાનમાં ટેસ્ટ અને T20 સીરીઝ રમાયા બાદ ખબર સામે આવી હતી કે પાકિસ્તાનમાં સપ્ટેમ્બરમાં થનાર એશિયા કપનાં પોતાના આયોજન અધિકાર બાંગ્લાદેશને આપી દીધા છે. જે બાદ હવે વસીમ ખાને એક અખબાર સાથે વાતચીતમાં કહ્યું કે આયોજન સ્થળ બદલવાના બધા જ અધિકાર પીસીબી કે આઈસીસી પાસે નથી. તેના પર કોઈ પણ નિર્ણય એશિયન ક્રિકેટ કાઉન્સિલ જ લઇ શકે છે.
તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે ભારત સાથે તણાવનાં કારણે પાકિસ્તાન એશિયા કપ માટે બે સ્થળ પર વિચાર કરી રહ્યું છે. ભારતે 2008 બાદથી જ પાકિસ્તાનનો પ્રવાસ નથી કર્યો અને બંને દેશો વચ્ચે કોઈ સીરીઝ પણ રમાઈ નથી.
માનવામાં આવી રહ્યું છે કે જો પાકિસ્તાનમાં એશિયા કપ કરવામાં આવે તો ભારત તેઓ વિરોધ કરી શકે છે. સુરક્ષા કારણોસર ભારતીય ટીમ પાકિસ્તાન ન પણ જાય. જેના પર વસીમ ખાને કહ્યું કે 'જો ભારત એશિયા કપ રમવા પાકિસ્તાન ન આવે તો અમે 2021 T 20 વર્લ્ડ કપમાં અમે ત્યાં નહીં જઈએ.'
ગયા અઠવાડિયે જ ખબર આવી હતી કે BCCI પોતાના સ્ટેન્ડમાં કોઈ જ ફેરફાર કરશે નહીં. જો ભારત વિરોધ કરે પાકિસ્તાનની જગ્યાએ કોઈ બીજા દેશમાં પણ એશિયા કપનું આયોજન કરવામાં આવે તેની પણ એવી પણ પ્રબળ સંભાવના છે.