કેન્દ્ર સરકાર સાથે પાંચમા તબક્કાની વાતચીત અસફળ રહ્યા બાદ ખેડૂતોએ હવે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે. કેટલીય રાજકીય પાર્ટીઓએ આ બંધને સમર્થન આપ્યું છે તો કેટલાય નેતાઓએ ખેડૂત આંદોનને લઇને ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે NCP નેતા શરદ પવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કૃષિ બિલને લઇને ઝડપથી સમાધાન ન થયું તો દેશભરના ખેડૂતો આ મામલામાં સામેલ થશે. જો કે, હવે આ મામલે શરદ પવાર બિલને લઇને 9 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવાના છે.
ખેડૂત આંદોલનને લઈને પવારની મોદી સરકારને ચેતવણી
સમાધાન ન થયું તો દેશના તમામ ખેડૂતો જોડાઇ શકે આંદોલનમાં
9 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ સાથે પવાર કરશે મુલાકાત
શરદ પવારે કહ્યું કે, પંજાબ અને હરિયાણાના ખેડૂત ઘઉ અને અનાજના મુખ્ય ઉત્પાદક છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે. જો સ્થિતિનું સમાધાન નહીં કરવામાં આવે તો દેશભરના ખેડૂતો તેમની સાથે સામેલ થઇ જશે. જ્યારે બિલ લાવવામાં આવી રહ્યું હતું. ત્યારે અમે સરકારને વિનંતી કરી હતી કે તેમણે ઉતાવળ કરવાની જરૂર નથી.
'અમે કહ્યું હતું કે બિલ પસંદગી સમિતિને મોકલો'
કૃષિ બિલ અંગે શરદ પવારે કહ્યું કે, 'ખરડો પસંદગી સમિતિને મોકલવો જોઈતો હોવો જોઇએ અને તેની ચર્ચા કરવાની જરૂર હતી પરંતુ તે થયું નહીં અને બિલ પસાર થઈ ગયું. હવે સરકાર પણ આ જ ઉતાવળનો ભોગ બની રહી છે.
અન્ય રાજ્યોના ખેડૂતોએ પણ કર્યું સમર્થન
માધ્યમો સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમે પાર્ટી કાર્યલય પર પણ વિરોધ કરીશું. રાહુલ ગાંધીનું આ પગલુ ખેડૂતોના આંદોલનને વધુ મજબૂત કરશે. અમે તે સુનિશ્ચિત કરીએ છીએ કે, પ્રદર્શન સફળ રહેશે. જણાવી દઇએ કે, બીજા રાજ્યોના ખેડતોએ પણ ભારત બંધને પોતાનું સમર્થન આપ્યું છે. કર્ણાટકના ખેડૂતોએ પણ આ આંદોલનને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.
આપ પાર્ટીએ આપ્યું સમર્થન
આમ આદમી પાર્ટીએ પણ ભારત બંધને પોતાનુ સમર્થન આપ્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલના આહ્વાન પર તમામ રાજ્યોમાં આપના કાર્યકરો ખેડૂતોના ભારત બંધના સમર્થનમાં આવશે. દિલ્હીના રાજ્ય કન્વીનર ગોપાલ રાયે કહ્યું કે, આ લડત ખેડૂતોની નહીં પરંતુ દેશ માટે છે.
સુરતમાં આમ આદમી પાર્ટીનો દેખાવો
ગોપાલ ઈટાલિયા સહિતના લોકોએ ખેડૂતોને સમર્થન આપવા વિરોધ પ્રદર્શન કર્યુ હતુ ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આપના કાર્યયકરોને મને ડિટેઈન કરવામાં આવ્યા હતા. AAPના કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો.
TRSએ ભારત બંધને કર્યું સમર્થન
બીજી તરફ, ટીઆરએસ દ્વારા 8 ડિસેમ્બરના રોજ ખેડૂતોના ભારત બંધના એલાનને પોતાનો ટેકો આપવાની જાહેરાત કરી છે. તેલંગણા રાષ્ટ્ર સમિતિએ રવિવારે કેન્દ્રના વિવિધ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ 8 ડિસેમ્બરે ભારત બંધને ટેકો આપ્યો છે.
દક્ષિણ ભારતમાં પણ કેટલાક પક્ષોએ ભારત બંધને આપ્યો ટેકો
બીજી તરફ, તામિલનાડુમાં વિરોધી પક્ષોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું સમર્થન કર્યું હતું. DMK, કોંગ્રેસ, CPI (M), CPI, VCK, MDMK અને સાથીઓએ ખેડૂતોના વિરોધને ટેકો આપ્યો છે.
ગુજરાત કોંગ્રેસે ખેડૂતનો જાહેર કર્યું આંદોલન
ભારત બંધના સમર્થનને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ભારત બંધના ખેડૂતના કોલને ગુજરાત કોંગ્રેસનું સમર્થન સાંપડ્યુ છે. MLA અશ્વિન કોટવાલ અને નૌશાદ સોલંકીનુ નિવેદન સામે આવ્યું છે. જેમાં અશ્વિન કોટવાલે જણાવ્યું હતુ કે, 8 તારીખે મારા વિસ્તારનો હાઇવે ખેડૂતો સાથે બંધ કરીશું. રાજસ્થાન અને ગુજરાતને જોડતો હાઇવે હું બંધ કરાવીશ. ભારત બંધના એલનમાં હું યોગદાન આપીશ. 8મી તારીખે અમે રોડ- રસ્તા બંધ કરીશું. કોંગ્રેસનો કાર્યકર રસ્તા ચક્કાજામ કરશે.
ત્યારે વિરોધ કરી રહેલા ખેડૂતોએ આપેલ ભારત બંધના એલાનને કોંગ્રેસ સહિત કેટલીય પાર્ટીઓએ પોતાનું સમર્થન આપ્યું છે. આ અંગેની જાણકારી કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ આપી હતી.