જેટ એરવેઝ બાદ હેલિકોપ્ટર સેવા આપનારી સરકારી કંપની પવન હંસ સંકટમાં છે. કંપનીને નાણાંકીય વર્ષ 2018-19માં 89 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
નવી દિલ્હી: કિંગફિશર, જેટ એરવેઝ બાદ વધુ એક એવિએશન કંપની આર્થિક સંકટમાં છે. હેલિકોપ્ટર સેવા આપતી સરકારી કંપની પવનહંસ કંપનીની હાલત વધુ ખરાબ થઇ ગઇ છે અને હવે કંપની પાસે કર્મચારીઓને પગાર આપવા માટે પણ પૈસા નથી.
પવનહંસ કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, 2018-19માં કંપનીને 89 કરોડનું નુકસાન થયું છે અને કરોડોનું દેવું પણ છે. તેવામાં તેઓ એપ્રિલ મહિનાનો પગાર આપવાની હાલતમાં નથી. ત્યારે કંપનીના આ નિવેદન બાદ તેની અસર કર્મચારી અને તેમના પરિવાર પર પડશે.
કર્મચારીઓને પોતાના બાળકોની સ્કૂલ-કોચિંગની ફી અને EMIની ચિંતા છે. સરકારે ગત વર્ષે પણ પવનહંસને બચાવવાની કોશિશ કરી હતી...ત્યારે કર્મચારીઓનું કહેવું છે કે, આમા અમારી શું ભૂલ છે. કંપનીની પોલિસી ખોટી રહી છે. હવે જ્યારે કંપની ડૂબવા લાગી છે તો અમારું શું થશે. અમને સેલેરી કોણ આપશે. જો વધુ સમસ્યા વધી તો કર્મચારીઓ કોર્ટમાં જવાનું પણ વિચારી રહ્યા છે.
ઉપરાંત કંપનીની ખરાબ હાલતનું કારણ રોહિણી હેલિપોર્ટ પણ હોવાની શક્યતા છે. અંદાજે 125 કરોડના ખર્ચે રોહિણી હેલિપોર્ટ બનાવાયું હતું. જે થોડા સમય ચાલ્યું પછી બંધ થઇ ગયું હતું. આ હેલિપોર્ટથી કંપનીને કોઇ ફાયદો થય ન હતો.