કોઈપણ મુશ્કેલી આવે કે, કોઈપણ દુ:ખ આવે ત્યારે લોકોના મોઢામાં એક શબ્દ હોય ભગવાન બચાવશે. પરંતુ આજે જોવા મળેલી ભીડ જોઇ તમે કહેશો કોઈ ભગવાનને આમનાથી બચાવો. કારણ કે, ભગવાન પણ કોને-કોને બચાવશે. આજે રવિવારની રજામાં પાવાગઢમાં માતાજીના દર્શન માટે એટલી ભીડ ઉમટી પડી કે સરકારની ગાડઈલાઈનોના તો ધજાગરા ઉડી ગયા.
પાવાગઢમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં
નવરાત્રી શરુ થાય તે પહેલાં જ લોકો પહોંચ્યા પાવાગઢ
સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યાં
નવરાત્રી દરમિયાન પાવાગઢમાં દેશભરમાંથી 10થી 12 લાખ લોકો આવે છે ત્યારે પાવાગઢમાં નવરાત્રી પહેલા જ આજે એક લાખથી વધુ શ્રદ્ધાળીઓ ઉમટી પડ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને માસ્ક વગર ફરતા લોકો નજરે પડ્યા હતા. માંચીથી નીચે ઉતરતાં વાહનોની કતારોથી ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રવિવારે વહેલી સવારે 6 વાગ્યામાં રોપવે સેવા શરૂ કરી દેવામાં આવી હતી.
ભીડમાં કોરોના ફેલાય તો તેમાં સરકાર શું કરે?
પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આજે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ન કોઈ સોશિયલ ડિસ્ટન્સ હતું કે ન કોઈએ માસ્ક પહેર્યું. બસ કંઈ થઈ રહ્યું છે તો તે સરકારના નિયમોના ધજાગરા. લોકો મનફાવે તેમ ફરી રહ્યા હતા. નાના બાળકોથી માંડી સૌકોઈ બેફામ રીતે સરકારના નિયમોને તોડી રહ્યા હતા. ફરી આજ લોકો કોરોનાના નામે સરકાર પાસે મદદની આશાઓ રાખે છે. સરકાર પર આંગળીઓ ઉઠાવે છે. પરંતુ અહીં કોરોના પણ ખુદ તઓ જ ફેલાવી રહ્યા છે. આ ભીડમાં કોરોના ફેલાય તો તેમાં સરકાર શું કરે? સરકાર ક્યાં-ક્યાં રોક લગાવવા માટે પહોંચે. ખુદ લોકોને જ પોતાની કે પોતાના પરિવારની પડી નથી ત્યાં સરકાર શું કરી દેવાની?
એક તરફ કોરોનાની મહામારી ફેલાઈ રહી છે. લોકો સંક્રમિત થઈ રહ્યા છે. હજારો લોકો મોતને ભેટ્યા છે. રોજ લોકોના મોતના આંકડા વધતા જઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ આ લોકોને કાંઈ પડી જ નથી. તેમના માટે તો કોરોના જેવું કાંઈ છે જ નહીં તેવું લાગે છે.
રજા લાખો લોકોની મજા બગાડી શકે છે
રવિવારની રજા જાણે આમના માટે તો ફરવાની રજા છે. પરંતુ આ રજા લાખો લોકોની મજા બગાડી શકે છે તે કોણ આમને સમજાવશે. અનેક પરિવારોને નિરાધાર બનાવી શકે છે તે કોણ સમજાવશે. જોકે ક્યાંકને ક્યાંક આ ભીડ માટે પાવાગઢ ટ્રસ્ટના સંચાલકો પણ જવાબદાર છે.
સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખો તો માતાજી કોને-કોને બચાવશે?
અહીં સવાલ એ થાય છે કે, ભગવાન બચાવશે. પરંતુ આવા માહોલમાં ભગવાન કેવી રીતે બચાવશે? આટલી ભીડમાં શું કોરોના નહીં ફેલાય? અહીં ક્યાં થઈ રહ્યું છે કોરોનાના નિયમોનું પાલન? માસ્ક નહીં પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખો તો માતાજી કોને-કોને બચાવશે? આ ભીડમાંથી કોરોના ફેલાયો તો કોણ જવાબદાર? આટલી મોટી ભીડ ઉમટી છતાં પાવગઢ તંત્ર ક્યાં ઊંઘતું રહ્યું?
સવાલો ઠીક અહીં સૌથી મોટો પ્રશ્ન આ ભીડને અટકાવવાનો છે. ભગવાનમાં આસ્થા બધાને હોય છે. પરંતુ આ મહામારીના સમયમાં આસ્થા માટે આપણે ભગવાનને આ રીતે બહાને ચડાવીએ તે યોગ્ય નથી. ભગવાન નથી કહેતા કે, તમે આટલી ભીડ ભેગી કરો. ભગવાન નથી કહેતા કે, તમે આવી રીતે મહામારી ફેલાવો. ખુદ ભગવાનના નામે આવી હરકત કરીએ છીએ અને ખુદ ભગવાન પાસે આશા રાખીએ છીએ કે, ભગવાન બચાવજો.