નોબલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી પોલ ક્રૂગમેને ભયંકર આર્થિક મંદીની ચેતવણી આપી છે. તેમણે આર્થિક નીતિ નિર્માતાઓ દ્વારા તૈયારીનાં અભાવને ટાંકીને જણાવ્યું હતું કે ૨૦૧૯ની આખરમાં અથવા ૨૦૨૦ની શરૂઆતમાં વૈશ્વિક મંદી આવવાની આશંકા છે.
દુબઇમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ ખાતે બોલતા ક્રુગમેને જણાવ્યું હતું કે આર્થિક ઉતાર-ચઢાવ કે અન્ય સમસ્યાનાં કારણે આર્થિક મંદીની શક્યતા વધી જશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌથી ચિંતાજનક વાત એ છે કે જો વૈશ્વિક મંદી આવશે તો તેનો અસરકારક રીતે જવાબ આપવા માટે આપણે સક્ષમ નથી.
આ માટે આપણી પાસે કોઇ સુરક્ષા તંત્ર નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેન્ક પાસે સામાન્યતઃ બજારનાં ઉતાર-ચઢાવથી બચવા માટે સંસાધનોનો અભાવ હોય છે. આ પ્રકારનાં કોઇ પણ જોખમ સામે આપણી તૈયારી ઘણી ઓછી છે.
અર્થશાસ્ત્રી પોલ ક્રૂગમેને વધુમાં જણાવ્યું કે ટ્રેડ વોર અને સંક્ષણવાદને બદલે નીતિગત એજન્ડા હાવી બને છે તેના કારણે સંસાધનોનું ધોવાણ થાય છે. વાસ્તવમાં મંદી સામે કેવાં પગલાં લેવાં તે અંગે પ્રાથમિકતા આપવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલ ક્રૂગમેનને વર્ષ ૨૦૦૮માં અર્થશાસ્ત્રનું નોબલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.