પોરબંદરના માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે લોકમેળામાં ઉપસ્થિતિ વખતે કૃષ્ણ અને સુભદ્રા પર આપેલ નિવેદનને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે માફી માગી છે.
કૃષ્ણ અને સુભદ્રા પરના વિવાદ પર સી.આર પાટીલે માફી માગી
માધવપુર મેળામાં સી.આર પાટીલે કર્યુ હતું નિવેદન
કૃષ્ણ-સુભદ્રા પરના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો હતો
શરતચૂકથી મારા વક્તવ્યમાં ભૂલ થઈ હતી : પાટીલ
લોકમેળાના કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના પ્રવચનમાં શ્રીકૃષ્ણ અને રુક્મિજીના લગ્નનો ઉલ્લેખ કરવાને બદલે સુભદ્રાજીનો ઉલ્લેખ કર્યો હતો. આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો અને વિવાદ થતાં સમગ્ર મામલે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે માફી માગી છે.
ઈપણ દલીલ વગર હું માફી માગુ છું : પાટીલ
પાટીલે જણાવ્યું હતું કે,શરતચૂકથી મારા વક્તવ્યમાં ભૂલ થઈ હતી અને ચાલુ વક્તવ્ય દરમિયાન જ ભૂલ સુધારી લીધી હતી પરંતુ કેટલાક યુવાનો દ્વારા ફોન પર મને માફી માંગવાનો આગ્રહ કરાયો હતો અને મને દ્વારકા આવીને માફી માગવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે ભૂલ એ ભૂલ છે અને કોઈપણ દલીલ વગર હું સ્વિકારૂ છું અને માફી માગું છું. સમગ્ર મામલે દ્વારકા જઈને પણ હું માફી માગી લઈશ.
દ્વારકા જઈને પણ હું માફી માગી લઈશ : પાટીલ
સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ માટે ક્યારેય ખરાબ ઈરાદો હોઈ ન શકે, છતાં કોઈ સમાજ કે વ્યક્તિની લાગણી દુભાઈ હશે તો માફી માગુ છું
શું હતો સમગ્ર વિવાદ ?
માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના વિવાહ પ્રસંગે લોકમેળા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના પ્રવચનમાં ભૂલ કરી દીધી હતી. ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિજીના લગ્નનો ઉલ્લેખ કરવાને બદલે રુક્મિણીજીની જગ્યાએ સુભદ્રાજીનો ઉલ્લેખ કર્યો હતો. પાટીલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં આપણે મહાભારતમાં શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીના હરણનો પ્રસંગ, કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન કેવી રીતે થયા હતા એ વાંચી કલ્પના કરી હતી. શ્રીકૃણને સુભદ્રાજીએ પત્ર લખ્યો, સુભદ્રાના વિવાહ થયા એ મહાભારત સિરિયલમાં જોયું. તેમના આ નિવેદન બાદ રાજ્યભરમાં વિવાદનો મધપૂડો છંછેડાયો હતો.