ગુજરાત સરકારના નવા મંત્રી મંડળમાં સુરતનું પ્રભ્ત્વ પણ સૌરાષ્ટ્ર જેટલું જ રહ્યું છે.દક્ષિણ ગુજરાતના 7 ધારાસભ્યોને મંત્રી મંડળમાં મળ્યું સ્થાન.
મંત્રી મંડળમાં દક્ષિણનું પ્રભુત્વ
કાશીરામ રાણા પછી સી.આર યુગ
દક્ષિણના 7 ધારાસભ્યોને મંત્રીપદ
ગુજરાતમાં સરકાર સંરચનામાં 2007 પછી પહેલીવાર એવું બન્યું છે કે,તમામ ફ્રેશ ચહેરાઓ સાથે ભારતીય જનતા પાર્ટીએ મંત્રી મંડળમાં નવા ચહેરા ઉતાર્યા છે.જ્યાં જ્યાં ભાજપની સરકાર છે અને મુખ્યમંત્રી બદલાયા છે ત્યાં આ પ્રકારનો પ્રયોગ કોઈ જગ્યાએ નથી થયો. ભાજપ હાઈ કમાન્ડે જ્ઞાતિ-જાતીનાં સમીકરણ બેસાડવા સાથે ગ્રામીણ વિસ્તારનું પ્રભુત્વ ઉભું કરવા પ્રયાસ કર્યો છે. આ તમામમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતનું પ્રભુત્વ વધ્યું છે.
સુરતને શું મળ્યું ?
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં મંત્રી મંડળમાં સુરતનું વર્ચસ વધ્યું છે.સુરતમાંથી પૂર્ણેશ મોદી, હર્ષ સંઘવી ઓલપાડના મુકેશ પટેલ,અને કતારગામના વીનું મોરડીયાનો સમાવેશ થયો છે. પૂર્ણેશ મોદી સિવાયના ત્રણેય રાજ્ય કક્ષાના મંત્રીઓ રહેશે. તો પૂર્ણેશ મોદીને કેબીનેટ કક્ષાનો દરજ્જો મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ નવા કેન્દ્રિય મંત્રી મંડળમાં સુરતના સાંસદ દર્શના બહેન જરદોશને કેન્દ્રીય મંત્રી બનાવાયા છે. એક સમય હતો કે, સુરતના સાંસદ તરીકે લાંબો કાર્યકાળ ભોગવી ચુકેલા કાશીરામ રાણા બાદ,હવે સી.આર પાટીલનું વર્ચસ રાજ્ય મંત્રી મંડળમાં દર્શાયું છે.
સુરતની મહતા શા માટે ?
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પોતાનું જોર વધાર્યું હતું.ખાસ કરીને પાટીદાર સમાજના યુવાનોને પાર્ટીમાં જોડવા એડી-ચોટીનું જોર લગાવાયું હતું. રાજકોટ અને સુરતમાં કઈક ચમત્કાર થશે તેવી સૌને આશા હતી.પરંતુ બંને જગ્યાએ કોંગ્રેસનું બિલકુલ ધોવાણ થયું. સુરતમાં તો આપે 27 બેઠકો મહાનગર પાલિકામાં જીતી જઈ કોંગ્રેસનો એકડો જ કાઢી નાખ્યો. જો કે, આમ આદમી પાર્ટીના વધતા જોરને કાબૂમાં રાખવા સુરતને આ મંત્રી મંડળમાં વધુ મહતા અપાઈ હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે.
કાનાણી આઉટ -મોરડીયા ઇન
ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતા કતારગામ- વરાછા જેવા વિસ્તારો પર સૌની નજર હતી. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે લગભગ સૂપડા સાફ કરી નાખ્યા ત્યારે, જો સુરતના પાટીદાર વિસ્તારોમાં કોંગ્રેસ ચમત્કાર કરે તો સતા હાથવેંત જ હતી.પરંતુ, સુરતના પાટીદારો ભાજપ સાથે જ રહ્યા.પરિણામે કુમાર કાનાણીને મંત્રી પદ મળ્યું.હવે નવા મંત્રી મંડળમાં વીનુ મોરડીયાને સ્થાન મળ્યું છે.
મોદી -સંઘવી પર જવાબદારી
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર પાટીલના અત્યંત વિશ્વસ્ત એવા પૂર્ણેશ મોદી-હર્ષ સંઘવી પર 2022ની વિધાનસભા ચૂંટણીમાં મોટી જવાબદારી આવશે.એક તો આપને 'કાબૂ'માં રાખવા નવા યુવાઓને ભાજપ સાથે જોડવા અને કેન્દ્રના સહયોગ સાથે રાજ્ય સરકારના માધ્યમથી સુરત આસપાસના વિસ્તારોનો વિકાસ કરવો. સુરતમાં ભાજપનો ગઢ અકબંધ રહે તેવી રણનીતિ સાથે મોદી-સંઘવી- મોરડીયા અને મુકેશ પટેલ પર ભરોસો મુકાયો છે.
દક્ષિણના 7 મંત્રી -સૌરાષ્ટ્રની હરોળમાં
સૌરાષ્ટ્રની હરોળમાં જ દક્ષિણ ગુજરાતને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. તે પ્રમાણે સુરત પશ્ચિમમાંથી પૂર્ણેશ મોદી, મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, કતારગામના વીનું મોરડીયા, અને ઓલપાડના મુકેશ પટેલ સાથે ગણદેવીના નરેશ પટેલ, કપરાડાના જીતુ ચૌધરી, અને પારડીના કનું દેસાઈનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રના 7 કોણ ?
દક્ષિણની સાથે જ સૌરાષ્ટ્રમાં પણ જ્ઞાતિ -જાતિના સમીકરણ સાચવતા લગભગ 7 ધારાસભ્યોને નવા મંત્રી મંડળમાં સ્થાન અપાયું છે. જેમાં ભાવનગર પશ્ચિમથી જીતું વાઘાણી, જામનગરથી રાઘવજી પટેલ,લીબડીથી કિરીટસિંહ રાણા,મોરબીથી બ્રિજેશ મેરજા, રાજકોટથી અરવિંદ રૈયાણી,કેશોદથી દેવા માલમ,અને ભાવનગરના મહુવાથી રાઘવજી મકવાણાનો સમાવેશ કરાયો છે.