વિશ્વમાં કોરોના નામના રાક્ષસે હાહાકાર મચાવ્યો છે. આપણું હિન્દુસ્તાન પણ આ રાક્ષસના આંતકથી બાકાત નથી. એમાં પણ ગુજરાતમાં તો સૌથી વધારે સંકટ છે. દેશમાં સંક્રમિતોની સંખ્યામાં ગુજરાત બીજા નંબરે છે. ગુજરાતમાં અમદાવાદની દશા તો સાવ ભૂંડી થઈ ગઈ છે. તેવામાં એક ખાનગી ડૉક્ટર દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર નથી મળતી જેથી તેઓ અન્ય જિલ્લામાં જતા રહે છે. આ અંગે સિવિલ હોસ્પિટલ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.
દર્દીઓને સારવાર ન મળતા અન્ય જિલ્લા જતા હોવાના આક્ષેપ
એક ખાનગી ઓર્થોપેડિક ડોક્ટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ખુલાસો કરાયો
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર ન મળતી હોવાના દર્દી અને દર્દીઓના સગાના આક્ષેપોને અધિકારીએ ફગાવ્યા છે. એક ખાનગી ઓર્થોપેડિક ડૉક્ટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે 3 દિવસમાં 200થી વધુ દર્દીઓ બેડ ન હોવાને કારણે વડોદરા, સુરત અને અન્ય જિલ્લામાં જતા રહ્યાં હતા. આ આક્ષેપને ડૉ.એમ.એમ. પ્રભાકરે ફગાવ્યા હતાં. આ સાથે દર્દીના રિપોર્ટ પોઝિટિવ કે નેગેટિવ તેની જાણ નહીં કરવામાં આવ્યાં હોવાના આક્ષેપ પણ દર્દીઓના સગાએ લગાવ્યા હતા જેને પણ ફગાવ્યા હતાં.
ડૉ. એમ.એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે, લેબમાં ડીલે થવાના કારણે એક કે બે દિવસ રિપોર્ટમાં લેટ થઈ શકે છે પણ પાંચ અને સાત દિવસની વાત ખોટી છે. કોવિડ હોસ્પિટલ અલગ છે અને સામાન્ય દર્દી માટે અલગ છે. કોઈ સારવાર અટકી નથી રહી અને સારવાર ચાલુ છે. દર્દી અને દર્દીઓના આક્ષેપ પાયાવિહોણા છે.
અમદાવાદમાં આજે નવા 343 પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 510 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 34 લોકોનાં મોત નિપજ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 370 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આમ રાજ્યમાં કોરોનાનાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 21 હજાર 554એ પહોંચી ગયો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં નવા 343 કેસ સામે આવ્યા છે. તો અમદાવાદમાં 26 દર્દીઓના મોત થયા છે.