લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો આડે છે ત્યારે ભાજ-કોંગ્રેસ સહિત તમામ પક્ષો પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં લાગી ગયાં છે. આ ચૂંટણી ખાસ કરીને ભાજપ-કોંગ્રેસ માટે ઇજ્જતનો સવાલ છે ત્યારે બંને પક્ષો કોઈ પણ જગ્યાએ કંઈ કાચું ન કપાઈ જાય તેની ખાસ તકેદારી રાખી રહ્યાં છે. બંને પક્ષ માટે ગુજરાતનો જંગ મહત્વનો છે.
એમાં પણ આ વખતે ગુજરાતમાં પાટીદારો કયા પક્ષને સાથ આપે છે તેનાથી ગુજરાતના જંગનું પરિણામ નક્કી થવાનું છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ પાટીદારોને રિઝવવા માટે કયા પાટીદાર નેતાઓને ટિકિટ આપવી તેમાં મૂંઝાયા છે. સૌરાષ્ટ્રને જ્યારે પાટીદારોનો ગઢ માનવામાં આવે છે ત્યારે અહીં સૌથી મોટી મૂંઝવણ બંને પક્ષો માટે ઊભી થઈ છે. આવો જોઈએ સૌરાષ્ટ્રની કઈ બેઠકો પર શું સમીકરણ છે?
ખાસ કરીને સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસની મૂંઝવણ વધી છે. અહીં ટિકિટ આપવામાં પણ પાટીદાર vs પાટીદારનો જંગ થાય એમ છે. રાજકોટ, પોરબંદર અને અમરેલી પર આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે.
રાજકોટ
કોંગ્રેસ અને ભાજપ પાટીદારોને લડાવવા સોગઠા ગોઠવી રહ્યાં છે. રાજકોટમાં ભાજપમાંથી કુંડારિયા, ભંડેરી અને પરેશ ગજેરાના નામ ચર્ચામાં છે. જો કે પરેશ ગજેરાએ હાલ તો ચૂંટણી લડવાથી ઇન્કાર કરી દીધો છે. કુંડારિયા કડવા પાટીદાર તો ભંડેરી-ગજેરા છે લેઉવા પટેલ છે જેથી કહી શકાય કે ભાજપ બંને પાટીદાર નેતામાંથી કયા નેતાને ટિકિટ આપે છે તે મોટો સવાલ છે.
કોંગ્રેસમાંથી રાજકોટના શિવરાજ પટેલ અને લલિત કગથરાના નામો સંભળાય છે. શિવરાજ પટેલ ખોડલધામ નરેશ પટેલના પુત્ર છે. શિવરાજ લેઉવા પાટીદાર તો કગથરા કડવા પાટીદાર સમાજના છે. જેથી અહીં પણ પાટીદાર vs પાટીદાર ઉમેદવારની પરિસ્થિતિ સર્જાશે.
પોરબંદર
પોરબંદર બેઠક પર પણ પાટીદારો સામે જ જંગ થવાની સંભાવના છે. ભાજપમાંથી લલિત રાદડિયા અને જશુમતિબેન કોરાટના નામ સંભળાય છે. રાદડિયા અને કોરાટ પરિવારનું પોરબંદર વિસ્તારમાં વર્ચસ્વ છે. રાદડિયા અને કોરાટ પરિવારે વર્ષોથી રાજકારણમાં પોતાની જગ્યા બનાવી છે. જશુમતિબેન અને લલિતભાઈ બંન્ને લેઉવા પાટીદાર સમાજના છે. જશુમતિબેન સ્વર્ગસ્થ મંત્રી સવજીભાઈના પત્ની અને પૂર્વ મંત્રી છે. લલિતભાઈ વિઠ્ઠલ રાદડિયાના દિકરા અને મંત્રી જયેશભાઈના નાના ભાઈ છે.
કોંગ્રેસમાંથી પોરબંદર લોકસભા બેઠક પરથી લલિત વસોયાએ પ્રચાર શરૂ કરી દીધો છે. લલિતભાઈની કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઔપચારિક જાહેરાત જ બાકી છે. ધોરાજી, જેતપુર અને ગોંડલ જેવી બેઠકો પોરબંદરમાં સમાવિષ્ટ છે. જિલ્લો રાજકોટ છે પરંતુ લોકસભામાં આ બેઠકો પોરબંદરમાં સમાવિષ્ટ છે. જૂનાગઢની માણાવદર અને કેશોદ જેવી બેઠકોનો પણ પોરબંદરમાં સમાવેશ થાય છે. આ પાંચ બેઠકો પર લેઉવા પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. પોરબંદર માટે આ પાંચ વિધાનસભા મતવિસ્તારમાં લેઉવા પાટીદારો જીત નક્કી કરે છે.
વિઠ્ઠલ રાદડિયાની ભાજપમાંથી જીત પણ આ લેઉવા પાટીદાર વાળા વિસ્તારને આભારી છે. તેવા સમયે કોંગ્રેસ અને ભાજપ બન્નેના ઉમેદવાર લેઉવા પાટીદાર હોવાની શક્યતા પ્રબળ છે
પોરબંદર બેઠક પરથી રેશમા પટેલ પણ અપક્ષ ઉમેદવારી કરવાનું જાહેર કરી ચૂક્યા છે. પાટીદારો માટે આંદોલન કરીને ભાજપમાં પ્રવેશેલા રેશમા બેને ભાજપ છોડ્યો છે. રેશમાબેન પાટીદાર સમાજમાં જાણીતો ચહેરો છે પરંતુ મત મળવા વિશે ધારણા કરવી મુશ્કેલ છે.
અમેરલી
અમરેલી બેઠક પણ લેઉવા પાટીદાર સમાજના ગઢ સમાન છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલીની તમામ 5 બેઠક કોંગ્રેસે જીતી હતી. અમરેલી જિલ્લાની 5 બેઠકમાંથી 4 બેઠક પર લેઉવા પાટીદાર જીત્યા છે. અમરીશ ડેર સિવાય કોંગ્રેસમાંથી જીતેલા તમામ 4 ધારાસભ્યો લેઉવા પાટીદાર છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ લેઉવા પાટીદાર સમાજના છે. આ બેઠક પર જેનું નામ સંભળાય છે તે જેની ઠુમ્મર પણ વીરજી ઠુમ્મરના દિકરી અને લેઉવા પટેલ છે. સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ લેઉવા પટેલ છે અને અમરેલીના દાવેદાર છે. ધારીના ધારાસભ્ય કાકડિયાના પત્ની કોકીલાબેનનું નામ પણ અમરેલી માટે સંભળાય છે.
કોંગ્રેસના તમામ લેઉવા પાટીદાર સંભવિતો સામે ભાજપના સંભવિતો પણ લેઉવા પટેલ જ છે. હાલના સાંસદ નારણ કાછડિયા બે વાર સાંસદ તરીકે ચૂંટાયા છે જે લેઉવા પટેલ છે. સતત ચાર ટર્મ સાંસદ રહેલા દિલીપ સંઘાણીનું નામ પણ લોકસભા ચૂંટણી માટે ચર્ચામાં છે. એ સિવાય હિરેન હિરપરા પણ પાટીદાર ઉમેદવાર છે અને ભાજપમાંથી નામ સંભળાય છે.
જામનગર
જામનગર બેઠક માટે હાર્દિક પટેલ ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે જેનો નિર્ણય કોંગ્રેસ કરશે. જો કોંગ્રેસ હાર્દિક પટેલને ટિકિટ આપે તો ભાજપે પણ પાટીદાર ઉમેદવાર ઉતારવો પડે એમ છે. આમ સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો સિવાય જામનગર બેઠકમાં પણ પાટીદાર સામે પાટીદાર લડે તેવી પરિસ્થિતિ છે.
જામનગર બેઠક પર હાલ પૂનમ માડમ સાંસદ છે જે આહિર સમાજના છે. આવામાં હવે ભાજપ પૂનમબેનને લડાવશે કે નહી તે કોંગ્રેસના ઉમેદવાર પરથી નક્કી થશે.