ગુજરાતમાં ફરી અનામતનુ ભૂત ધૂણવા જઈ રહ્યું છે. કારણ કે પાટીદાર આંદોલન વખતે પોલીસની ગોળીથી માર્યા ગયેલાં શહીદોના માટે ઉંઝાથી કાગવડ સુધીની શહીદયાત્રાનું આયોજન કરાયુ છે. 24મી જૂનથી ઉંઝાથી શહીદયાત્રાનો પ્રારંભ થશે જેમાં પાટીદાર આંદોલન વખતે માર્યા ગયેલા પાટીદાર યુવાઓના પરિવારજનો સામેલ હશે. આ માટે શહોદોના પરિવારોને પત્ર પણ મોકલાઈ ચૂક્યા છે. આ યાત્રા 97 તાલુકાઓમાં ફરીને છેલ્લે ખોડલધામ કાગવડ પહોંચશે.
જોકે પાસના નેતાઓએ આંદોલનકારી એવા મહાઆયોજનમાંથી હાર્દિક પટેલની જ બાદબાકી કરી નાંખી છે. તો સામે પક્ષે શહીદ યાત્રાના દિવસે જ હાર્દિકે એક અલાયદા કાર્યક્રમની જાહેરાત કરતા વિવાદ ઉભો થયો છે જ્યારે આજે હાર્દિક પટેલે એક મોટો દાવ ખેલ્યો છે. હાર્દિકે સામે ચાલીને પોતાના ઓફિશિયલ ફેસબુક પેજમાં સમાજ ને આગળ કરી ને ટહું આ શહીદ યાત્રામાં હાજર રહીશ અને બધા પાટીદારો પણ હાજર રહે' એવી વાત કહી હતી.
જ્યારે હાર્દિક પટેલનો એકડો કાઢી નાખવાની ખેવના રાખતા પાસ કન્વીનરોનો દાવ હાર્દિકે ઉંધો પાડી દીધો છે. શહીદયાત્રામાં હાજર રહીશ તેવું કહીને શહીદ યાત્રા હાઈજેક કરવાનો દાવ ખેલી લીધો છે. જેના કારણે અનામતની માંગને આગળ ધરી પાટીદારોએ શહીદયાત્રા યોજતાં ભાજપ સરકાર માટે વધુ એક રાજકીય મુશ્કેલી સર્જાઇ છે.
મહત્વની વાત એ છે કે સમગ્ર કાર્યક્રમમાં એક પણ રાજકારણીને આમંત્રણ આપવામાં આવ્યું નથી. શહીદયાત્રા દરમિયાન સરદારગાથા અને અનામત વિશેની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે. પાટીદાર આયોજકોનો દાવો છે કે શહીદયાત્રાને 60 લાખ લોકો નિહાળશે પરિણામે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડના ઓબર્ઝવરને નિમંત્રણ પાઠવવામાં આવનાર છે.
આમ ગુજરાતમાં ફરી એકવાર અનામત આંદોલન પાર્ટ-3 શરુ થવાની તૈયારીઓ થઇ રહી છે. અનામતની માંગ બુલંદ બનતાં ભાજપ સરકાર માટે પાટીદારોને મનાવવા ફરી રાજકીય મથામણો કરવા મજબૂર થવુ પડશે. હાર્દિક પટેલે પોતાની નજીકના માણસોને આ શહિદ યાત્રાના આયોજનોની મીટીંગમાં મોકલીને તમામ આયોજનોની વિગતો હાથ પર લીધી હતી. એક બીજાને નીચે ઉતારવાની હોડમાં પાટીદાર નેતાઓ વચ્ચે આગામી સમયમાં હજુ વિવાદ આવે તો નવાઈ નહી.