હાર્દિક ભાજપમાં જાય અને PAASની બે માંગ ન સ્વીકારાય તો આંદોલન થશે, હાર્દિકનો ઝુકાવ ભાજપ તરફ હોવાનું પણ સ્વીકાર્યું
સુરતમાં અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
જરૂર પડે ભાજપ,હાર્દિક સામે આંદોલન કરીશું-કથીરિયા
માંગોને લઈ સમાજની સાથે રહેવુ જોઇએ-કથીરિયા
પાટીદાર અનામત આંદોલન સમિતિની GMDC ગ્રાઉન્ડની ભવ્ય રેલી બાદ ચર્ચામાં આવેલ હાર્દિક પટેલના ફરી એક વાર સૂર બદલાયા છે. એક સમયે PAASનું આંદોલન ચરમસીમાએ હતું ત્યારે આ જ હાર્દિકે કહ્યું હતું કે, મરતા મરી જઈશ પણ કદી રાજકારણમાં નહીં જાઉં કારણ કે હું રાજનેતા નથી.પરંતુ આ કથન બાદ એક જાહેર રેલીના માધ્યમથી રાહુલ ગાંધીના હસ્તે કોંગ્રેસ પ્રવેશ કર્યો.બાદમાં કોંગ્રેસ પ્રવેશના ત્રણ વર્ષમાં જ હાર્દિકનો કોંગ્રેસથી પણ મોહભંગ થઈ ગયો છે.હાર્દિકે કોંગ્રેસ પર જાતિવાદના રાજકારણ સહિતના અનેક આક્ષેપો કરીને કોંગ્રેસને રામ રામ કહી દીધુ છે. અને પક્ષ છોડ્યા બાદ કોંગ્રેસ પર ગંભીર આરોપો કરી ભડાસ કાઢી છે.
.. નહીં તો ભાજપ અને હાર્દિક સામે પણ આંદોલન કરીશું- કથીરિયા
ત્યારે સુરતમાં PAAS કન્વીનર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે. હાર્દિકની ભાજપમાં જવાની તૈયારી હોવાનો અંદેશો વ્યક્ત કરી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જરૂર પડે ભાજપ અને હાર્દિક સામે પણ આંદોલન કરીશું. હાર્દિક ભાજપમાં જાય અને PAASની બે માંગ ન સ્વીકારાય તો કોઈ પાછી પાની કરવામાં આવશે નહીં તેવી હામ પણ તેઓએ ભરી હતી.મુખ્ય માંગની વાત કરતાં કહ્યું કે કેસો પાછા ખેંચવા અને શહીદ પરિવારને નોકરીની માંગ અમારી પ્રાથમિકતા છે જે પૂરી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સાથે જ તેઓ કહ્યું હતું કે હાર્દિકની વાતોથી તેનો ઝુકાવ ભાજપ તરફ હોય તેવું સ્પષ્ટ લાગે છે.
આગામી અઠવાડિયે ભાજપમાં જોડાઈ શકે હાર્દિક
તો બીજી તરફ હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ હાર્દિક પટેલ ભાજપમાં જાય છે તેવી શક્યતાઓ વર્તાઇ રહી છે. ત્યારે ગુજરાત ભાજપના ખાસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હાર્દિક પટેલની ભાજપમાં જોડાવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. હાર્દિક પટેલ આગામી અઠવાડિયે ભાજપમાં જોડાશે તેવી વાત નક્કી માનવામાં આવી રહી છે. હાર્દિક પટેલનો કેસરીયો ધારણ કરવાના કાર્યક્રમ વિશે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાર્દિકની ભાજપમાં એન્ટ્રી સમયે કેન્દ્રિય મંત્રીની હાજરી રહેશે. ભાજપમાં જોડાતા સમયે હાર્દિક પટેલ જનસભા કરશે.જનસભામાં હાર્દિક પટેલ 10 હજાર જેટલી મેદની એકઠી કરશે.
પાટીદાર સમાજનું ગૌરવ જળવાય તેવો નિર્ણય હાર્દિક લે: અલ્પેશ કથીરિયા
હાર્દિક પટેલના નિવેદન પર અલ્પેશ કથીરિયાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હાર્દિકે કોંગ્રેસ છોડ્યું તે વાતનું દુઃખ છે. હાર્દિકે કોંગ્રેસમાં જાતિવાદની વાત કરી, પક્ષના પ્રભારી પર સવાલ ઉઠાવ્યા અને પક્ષની નારાજગી પણ વ્યક્ત કરી છે. પક્ષ અને હાર્દિક વચ્ચે સંકલનમાં ખામી સર્જાઈ છે. જેને કારણે રાજીનામા સુધી વાત પહોંચી છે. વધુમાં તેમણે કહ્યું કે, ભવિષ્યમાં હાર્દિક પટેલ પાટીદાર સમાજનું ગૌરવ જળવાઈ તેવો નિર્ણય લે તેવી અમારી સલાહ છે. આગળ તેમણે કહ્યું કે, ગુજરાતમા દરેક રાજકીય પાર્ચટી જ્ઞાતિવાદનું કાર્ડ રમે છે. નરેશ પટેલ અંગે તેમણે પ્રતિક્રિયા આપી કે, નરેશ પટેલ સમાજનું ગૌરવ છે. અમારી ઊંમર કરતાં વધુ તેમની પાસે અનુભવ છે. જેથી નરેશ ભાઈ પોતાનો નિર્ણય ખુદ લેશે.
હાર્દિકની રાજનીતિ પર બોલ્યા અલ્પેશ કથીરિયા
સાથે હાર્દિકના ભાજપ પ્રવેશને લઈ નિવેદન આપતા કહ્યું કે રાજકીય સંકેત જોતા ભાજપ તરફ ઈશારો લાગે છે. સાથે સૂચન આપતા કહ્યું કે હાર્દિકને હજુ વિચારવાનો સમય છે તેણે નક્કી કરવાનું છે. સરકાર સામે પાટીદારોની વાત સ્પષ્ટ છે. રાજદ્રોહના કેસો પાછા ખેંચાયા, શહીદ પરિવારને નોકરી મળે. ઘણી વખત સમાજની એકતા તોડવા રાજકીય પક્ષો પ્રયાસ કરતા હોય છે. કોંગ્રેસ છોડવાના મુદ્દે કથીરિયાએ કહ્યું કે હાર્દિક કોંગ્રેસમાં ગયો ત્યારે, PASS સાથે ચર્ચા કરી હતી, હાર્દિકે કોંગ્રેસ છોડી ત્યારે PASS સાથે ચર્ચા કરી નથી. પક્ષ-સમાજ વચ્ચે સંકલનનો અભાવ કોંગ્રેસ છોડવાનું કારણ હોય શકે તેવી વાત પણ કરી હતી.