નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, તેઓ ભાજપમાં જોડાય શકે છે. અકિલા ન્યૂઝે આ દાવો કર્યો છે. ત્યારે હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે.
નરેશ પટેલની રાજકારણમાં પ્રવેશની અટકળો
બે કેન્દ્રીય મંત્રી સાથે થઇ હતી મુલાકાત
ખોડલધામના ટ્રસ્ટીની મધ્યસ્થી
નરેશ પટેલના રાજકારણમાં જોડવાને લઇ ભારે સસ્પેન્સ છે. સસ્પેન્સ વચ્ચે નરેશ પટેલ બંને પક્ષો સાથે મેરેથોન બેઠક કરી રહ્યા છે. નરેશ પટેલે ભાજપના મોટા નેતાઓ સાથે બંધબારણે બેઠક કરી છે. નરેશ પટેલને ભાજપમાં લાવવા પૂર્વ પાટીદાર મુખ્યમંત્રી મધ્યસ્થી કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી, ગુજરાત સરકારના એક મંત્રી, સૌરાષ્ટ્રના પૂર્વમંત્રી અને એક OBC નેતા મધ્યસ્થી કરી રહ્યા છે.
મહત્વનું છે કે, ગત સપ્તાહમાં નરેશ પટેલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી. ભાજપે પસંદગીના કેટલાકને ટિકીટ અને નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલને મંત્રી બનાવની ઓફર આપી છે. બીજી તરફ નરેશ પટેલની કોંગ્રેસમાં જવાની ડીલ પણ નક્કી છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોરની પેકેજ ડીલ પણ ફાઇનલ છે. સૂત્રોની માહિતી અનુસાર, નરેશ પટેલ અને પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થશે. નરેશ પટેલ કોંગ્રેસના જોડાશે તો કેમ્પઇનિંગ કમિટીના ચેરમેન બનશે.
નરેશ પટેલની બે કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત
દિલ્હીમાં 2 કેન્દ્રીય મંત્રીઓ સાથે નરેશ પટેલની મુલાકાત થઇ હતી. કેન્દ્રીય મંત્રીઓની મુલાકાત ફળીભૂત થાય તેવા સંકેત મળી રહ્યા છે. ખોડલધામના એક ટ્રસ્ટીએ કેન્દ્રીય મંત્રીઓ સાથે બેઠક કરાવી હોવાના સમાચારો પ્રાપ્ત થઇ રહ્યા છે. બેઠકથી નરેશ પટેલના ભાજપમાં પ્રવેશના દ્વાર ખુલ્યા છે. એક કેન્દ્રીય મંત્રી તો ભાજપના રાષ્ટ્રીય હાઇકમાન્ડમાં ગણાય છે. સમગ્ર બેઠક અંગે નરેશ પટેલના અંગત સૂત્રો આ મુલાકાતને સમર્થન આપી રહ્યા છે. નરેશ પટેલનો ભાજપ પ્રવેશ વાયા દિલ્હી હોઇ શકે છે.
શું છે અકિલા ન્યૂઝનો દાવો?
છેલ્લા બે-ત્રણ મહિનાથી ગામ ગાંડું કરનાર ટીમ નરેશભાઈ પટેલ અને વિવિધ ચર્ચા, મુલાકાતો, કથિત સર્વે સહિતના કથિત નાટકો બાદ હવે જાણકારોના મત મુજબ નરેશભાઈ પટેલ ભાજપ તરફ સંપૂર્ણપણે ઝુકી ગયાનું અને સંભવત આવતા અઠવાડિયે પોતાનો નિર્ણય જાહેર કરી ટીમ નરેશ પટેલ ભાજપની મદદે આવી જશે તેવા સ્પષ્ટ અહેવાલો મળે છે એમ કહેવાય છે કે મોટા ભાગની ચર્ચા વિચારણા અને બેઠકોનો દોર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને નિર્ણય પર આવતા અઠવાડિયે મંગળ કે બુધવારે લેવાય જાય તેવા નિર્દેશો મળે છે.આગામી ચૂંટણીમાં નરેશભાઈ પટેલ અને મિત્રો સરાજાહેર ભાજપની સાથે આવી જાય તે માટેનું પ્લેટફોર્મ અને ચર્ચા પૂર્ણ થઇ ગઈ હોવાનું ચર્ચાય છે ત્યારે દિલ્હી ખાતે ગઠબંધનનો પ્રસાદ પણ પ્રથમ હરોળના ભાજપના આગેવાનને ત્યાં આરોગાઇ ગયા હોવાના પણ અહેવાલ મળે છે.ગઈકાલે પણ શહેરના સંખ્યાબંધ પત્રકારો તથા મિત્રોએ નરેશ પટેલનું સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ તેમનો ફોન ડાયવટ થયેલો હતો જોકે નરેશભાઈનું લોકેશન ગાંધીનગર આવી રહ્યા હોવાનું મનાતું હતું ગઈકાલે પણ સ્થાનિક ટોચના આગેવાનો સાથે મીટીંગ થયાનું મનાઈ છે.
નરેશ પટેલ કોણ છે?
2008-09માં લેઉઆ પાટીદારોના કુળદેવીનું કાગવડ ખાતે મંદિર બનાવવાના માધ્યમથી નરેશ પટેલ ચર્ચામાં આવ્યા
ખોડલધામ એ લેઉઆ પાટીદાર સમાજની આસ્થા જ નહીં,પરંતુ સામાજિક શક્તિનું પણ કેન્દ્ર
નરેશ પટેલ ખોડલધામના સ્થાપક ટ્રસ્ટી છે
નરેશ પટેલ આ સાથે કેટલીક સામાજિક અને ધાર્મિક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે
2018માં હાર્દિક પટેલે આમરણાંત અનશન કર્યાં, ત્યારે નરેશ પટેલે તેમને પારણાં કરાવ્યાં હતાં
નરેશ પટેલનો જન્મ અને ઉછેર રાજકોટમાં જ થયો છે
નરેશ પટેલે રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ કર્યો છે
નરેશ પટેલ પિતા દ્વારા સ્થાપિત બ્રાસપાર્ટ તથા બૉલબેરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે
નરેશ પટેલની કંપની વિદેશમાં પણ નિકાસ કરે છે
નરેશ પટેલ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની નજીકના છે